છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા

Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરસભામાં મોટું રાજકીય ગાબડું પડ્યું હતું. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ અને ભાજપના 200 જેટલા કાર્યકરો AAPમાં જોડાયા હતા. આ સભામાં ખેડૂતોના મુદ્દા અને બરોડા ડેરીના કથિત કૌભાંડનો મુદ્દો ઉગ્રતાથી ઉછાળવામાં આવ્યો હતો.
ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સભામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ખેડૂતોને કપાસ અને મકાઈના ટેકાના ભાવ મળતા નથી, કેનાલોમાં સિંચાઈનું પાણી પણ ખેડૂતોને મળતું નથી.'
બરોડા ડેરીમાં ભરતી કૌભાંડનો આક્ષેપ, ચૂંટણી લડવાની જાહેરાત
આ સભામાં બરોડા ડેરીના માજી ચેરમેન અજીત ઠાકોરે AAPના મંચ પરથી ડેરીના કથિત ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. અજીત ઠાકોરે જણાવ્યું હતું કે, 'બરોડા ડેરીમાં વ્યાપકપણે ભરતીમાં કૌભાંડ છે, જે અનેકવાર ઉજાગર કરવામાં આવ્યું છે. ડેરીમાં નોકરી કરનારા લોકો કરોડપતિ થઈ ગયા છે અને દરેક નેતાના તેમજ અધિકારીઓના બાળકો ડેરીમાં નોકરી કરે છે.' તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે મળીને તેઓ બરોડા ડેરીની આગામી ચૂંટણીમાં ઝંપ લાવશે અને ડેરીનો ભ્રષ્ટાચાર બહાર લાવશે.
સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત
ચૈતર વસાવાએ સભામાં આગામી સ્થાનિક ચૂંટણીઓ અંગેની AAPની વ્યૂહરચના પણ સ્પષ્ટ કરી હતી. તેમણે જાહેરાત કરી કે, 'આગામી તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ AAP એકલા હાથે લડશે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં.'

