ખેતઉપજ ઓર્ગેનિક કે ઈનઓર્ગેનિક? અમદાવાદ ઈસરોના વિજ્ઞાનીએ સેકન્ડમાં પરખી આપતું ડિવાઈસ વિકસાવ્યું
Ahmedabad ISRO scientist : ગુજરાતમાં આજે સેંકડો લોકો ઓર્ગનિક ખેતીની ઉપજને નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ મેળવી લેતા હોવાના કિસ્સા બને છે ત્યારે અમદાવાદ ઇસરોના સાયન્ટિસ્ટે ખેતઉપજ ઓર્ગેનિક ખાતરથી ઉગાડીને તૈયાર કરવામાં આવી છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પેદા કરવામાં આવી છે તે થોડી જ સેકન્ડ્સમાં પારખી આપતું સ્પ્રેક્ટ્રોમીટર વિકસાવ્યું છે. ઇસરોના સાયન્ટિસ્ટ મધુસુદન પટેલે વિકસાવેલા તેમના આ સ્પ્રેક્ટ્રોમીટરની મદદથી સંખ્યાબંદ લોકો છેતરાતા અટકી શકશે.
ફળ, શાકભાજી, અનાજ, મગ, મઠ જેવા કઠોળ ઓર્ગેનિક છે કે નહિ તેનો ટેસ્ટ માત્ર 50 પૈસાના ખર્ચે થઈ જવાની સભાવના
ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીનો આરંભ કર્યા પછી ત્રણ વર્ષ સુધી તેની ચકાસણી કર્યા બાદ ગોપકા નામની સરકારી સંસ્થા તેને ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા પ્રોડક્ટ્સ તરીકેનું પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્ર મળવામાં થતાં વિલંબને સહન ન કરી શકનારાઓ તેમની ઉપજને ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે ઊંચા દામે વેચી રહ્યા હોવાના અઢળક કિસ્સાઓ બની રહ્યા છે.
અમદાવાદની વિદ્યાપીઠમાં પણ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વેચનારાઓ પાસે પ્રોડક્ટ્સ ઓર્ગેનિક ન હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. પરિણામે ઓર્ગેનિકને નામે ઇનઓર્ગેનિક પ્રોડક્ટ્સ વેચનારાઓથી છેતરાતા ગ્રાહકો બચી જશે. પ્રોડક્ટ્સ ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક છે તેનો ટેસ્ટ કરવાનો ખર્ચ માત્ર 50 પૈસાથી એક રૂપિયો જ આવી શકે છે.
વિજ્ઞાનીનું કહેવું છે કે ફળ, ફૂલ, શાકભાજી, અનાજ, કઠોળ કે પછી અન્ય કોઈ કૃષિ ઉપજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પકવવામાં આવ્યા હોય તો તે સ્પ્રેક્ટ્રોમીટરથી પકડી શકાય છે. તેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય તો પણ તેનો નિર્દેશ ગણતરીની સેકન્ડમાં મળી શકે છે. મરચાં પણ ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક છે તેનો ક્યાસ પણ કાઢી શકાય છે. ભેળસેળીયા પનીરની ભેળસેળ છે કે નહિ તે પણ સેકન્ડોમાં પારખી શકે છે.
ઇસરોના નિવૃત્ત વિજ્ઞાનીનું કહેવું છે કે આજે મધમાખીની પેટી વગડામાં રાખીને મધનું ઉત્પાદન લેનારાઓના મધની ગુણવત્તાનો અંદાજ પણ સ્પ્રેક્ટ્રોમીટર આપી શકે છે. મધની અંદર કયા કયા ઘટકો છે તે બતાવી શકે છે. તેમાં પ્રોટીન કેટલું છે તે પણ દર્શાવી શકે છે. આ જ રીતે મધમાખીની પેટી મૂકવા માટેનું વિશિષ્ટ સ્ટેન્ડ પણે ડેવલપ કર્યું છે. મધપુડામાં એકત્રિત થયેલા મધનું વજન બતાવી શકે છે. તેમ જ મધપુડાને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો છે તે લોકેશન પણ બતાવે છે. મધપુડાની અંદરની માખીના બિહેવિયરને આધારે તે અકળાયેલી છે કે સ્વસ્થ છે તેનો અંદાજ પણ આપી શકે છે. મધમાખીની સૂંઘવાની શક્તિ અદભૂત છે. તેની બાયોફિલિંગ સ્ટ્રોન્ગ હોવાથી એક કિલોમીટર દૂર કોઈ ખેતરમાં પરાગરજ ફેલાવા માંડી હોય તો તે પણ સ્પ્રેક્ટ્રોમીટર પારખી શકે છે.
સ્પ્રેક્ટ્રોમીટર બિયારણની ગુણવત્તા પણ પારખી આપશે
ઇસરોના વિજ્ઞાનીનું કહેવું છે કે તેમને વિકસાવેલું સ્પ્રેક્ટ્રોમીટર બિયારણની ગુણવત્તાને પણ પારખી આપી છે. બિયારણ અસલી છે કે ભેળસેળીયું તે પણ જાણીને ખરીદનારને જણાવવાને સક્ષમ છે. બિયારણને કારણે છેતરાઈ જતાં ખેડૂતોની ખરીફ કે રવી મોસમ ખતમ થઈ જાય છે અને તેને કારણે ખેડૂતો આત્મહત્યા કરતાં હોવાના કિસ્સાઓ પણ બને છે.