નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
Pesticide Free Vegetables: ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જાય છે. કેન્સરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શાકભાજી સહિતના ખેતીપાકમાં જંતુનાશક દવાનું વધતું જતું પ્રમાણ એ પણ કેન્સર થવાના મુખ્ય કારણોમાંનું એક છે. આ સંજોગોમાં જ્યારે કેન્સરથી બચવા અનેક લોકો જાગૃત થઈ રહ્યા છે ત્યારે કર્ણોપકર્ણ વાતને અનુસરીને સડી ગયેલા કે જીવાતવાળા શાકભાજી ખરીદવાનો નવો ટ્રેન્ડ પ્રવર્તી રહ્યો છે.
કેન્સરનો રાફડો ફાટશે: કૃષિ વૈજ્ઞાનિકોની ગંભીર ભીતિ
આગામી સમયમાં કેન્સરનો રાફડો ફાટે તેવી કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ ભીતિ પણ વ્યક્ત કરી છે. કેન્સરથી બચવા માટે હવે ખુદ લોકો જાગૃત થઈ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉના સમયમાં મહિલાઓ જીવાત વાળા કે સડી ગયેલા શાકભાજી અડતા પણ નહોતા. હવે તેનો ટ્રેન્ડ ઉલ્ટો થઈ ગયો છે. જાગૃત લોકો શાકભાજીની ખરીદી કરવા જાય ત્યારે જીવાતવાળા કે સડી ગયેલા શાકભાજી શોધી-શોધીને લે છે. કેમ કે, સડી ગયેલા અને જીવાતવાળા શાકભાજીમાં જંતુનાશક દવા હોતી નથી.
જંતુનાશક વગરના શાકની ઓળખ: જીવાત કે સડો હોવો
જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમાં જીવાત કે સડો બેસે નહી. દવા વગરના શાકભાજીની મુખ્ય ઓળખ એ છે કે, તે દેખાવમાં સારૂ ન હોય તથા અમુક ભાગ બગડી ગયેલો કે જીવાત પડેલો હોય છે. ગૃહિણીઓ સહિતના જાગૃત નાગરિકો સડાવાળા કે જીવાતવાળા શાકભાજી લે તેમાંથી ખરાબ કે જીવાતવાળુ શાકભાજી કાઢીને બાકીનું જે શાક બચે છે તેની રસોઈ બનાવે છે.
સિઝન સિવાયના શાકભાજી જંતુનાશક દવા વગર શક્ય નથી
આ મામલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન વિભાગના તજજ્ઞએ જણાવ્યું હતું કે, કોઈપણ સિઝન વગરનું શાકભાજી હોય તે જંતુનાશક દવા સિવાય થાય નહી એટલે સિઝન સિવાયના શાકભાજી ખાવામાં આવે તે દવાવાળા જ હોય છે. દરેક શાકભાજીની સિઝન નક્કી હોય છે, તે સિવાય શાકભાજી દવા વગર ઉત્પાદન કરવા માટે ખેડૂતો મોટાપ્રમાણે જંતુનાશક દવા વાપરે છે. દવાવાળા શાકભાજીના કારણે તેનો સ્વાદ પણ બદલી જાય છે. દવા વગર જે શાકભાજી થાય તે આંખને ગમે તેવું નથી થતું. જો આંખને ગમે તેવા ઘાટધુટ અને ચળકદાર શાકભાજી સિઝન વગરનું હોય તે દવા વાળુ જ હોય છે.
બે કલાક ગરમ પાણીમાં શાકને પલાળી બાદમાં રસોઈ બનાવવી જોઈએ
કેન્સરનું પ્રમાણ સતત વધતું જાય છે. કેન્સરના નિષ્ણાંતે જણાવ્યું છે કે, જંતુનાશક દવાના કારણે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. કોઈપણ શાક બનાવતા પહેલા તે શાકને બે કલાકથી વઘુ સમય સુધી ગરમ પાણીમાં પલાળી રાખવામાં આવે તો પણ દવાની અસર ઓછી થઈ જાય છે. બને ત્યાં સુધી જે તે સિઝનના જ શાકભાજી ખાવા જોઈએ.
કેન્સરના દર્દીઓમાં વર્ષોવર્ષ ચિંતાજનક વધારો
ભારતીય તબીબી સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અંદાજિત આંકડા મુજબ વર્ષ 2022માં 73,382, વર્ષ 2023માં 75,290, વર્ષ 2024માં 17,205 કેન્સરના દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022થી 2024 સુધીમાં કેન્સરના દર્દીઓમાં 5.22 ટકાનો વધારો થયો છે. દર વર્ષે કેન્સરના દર્દીઓમાં સતત વધારો એ ચિંતાજનક છે.








