શું ખાંસી અને છીંકથી સાત મીટર સુધી કોરોના વાયરસ ફેલાઇ શકે છે ?
WHOના સોશિયલ ડિસ્ટન્સના નિયમો વર્ષો જુના મોડેલ પર આધારિત છે ?
લોક ડાઉનનું પાલન કરી ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એજ માત્ર ઉપાય
Updated: Apr 1st, 2020
અમદાવાદ, 1 એપ્રિલ, 2020, બુધવાર
કોરોના વાયરસ સંસર્ગજન્ય છે પરંતુ હવા દ્વારા ફેલાતો ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મુકવામાં આવી રહયો છે. માસ્ક પહેરવા અને બે માણસો વચ્ચે એક મીટરનું સલામત અંતર રાખવાનું પ્રચલિત બન્યું છે. આથી જ તો માર્કેટમાં ખરીદી કરવા જાય ત્યારે પણ દુકાનદાર ગ્રાહકોને 1 મીટરના અંતરે કુંડાળામાં ઉભા રાખે છે જેથી કરીને સંક્રમણ થવાનો ખતરો ટળી જાય છે એવું માનવામાં આવે છે. જો કોઇ વ્યકિત સ્વસ્થ જણાતી હોય તેમ છતાં તે કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતી હોય અને લક્ષણો દેખાવાના બાકી હોય ત્યારે તે છિંક કે ઉંધરસ ખાય ત્યારે તેના માઇક્રો બુંદ હવામાં ઉડીને બીજાને સંક્રમિત કરી શકે છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ખાંસી અને છીંકથી કોરોના વાયરસ 7 મીટર દૂર સુધી ફેલાઇ શકે છે એટલં કે છિંકના માઇક્રો બુંદ 25 થી 27 ફૂટ જેટલા દૂર જઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુએસએના ડિસિઝ પ્રિવેન્શન એન્ડ કયોર સેન્ટર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું જે અંતર નકકી કરવામાં આવ્યું છે તે પુરતું નથી. જર્નલ ઓફ મેડિકલ એસોસિએશનમાં પ્રગટ થયેલા સંશોધન મુજબ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે સોશિયલ ડિસ્ટન્સના જે દિશા નિર્દેશો જાહેર કરેલા છે તે 1930ના દશકના જુના મોડેલો પર આધારિત છે.
કોરોના વાયરસથી માણસ દ્વારા માણસમાં સંક્રમિત થતા કોવિડ-19 સામે દુનિયા જંગે ચડી છે. લોક ડાઉન લાદીને લોકોના છુટથી હરવા ફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કોરોના કૂળનો નોવેલ કોરોના વાયરસ વિચિત્ર લક્ષણો ધરાવે છે એક તો તેનો ઇન્કયુબેશન પીરિયેડ( સંક્રમણ થયા પછી લક્ષણો દેખાવા સુધીનો ગાળો) 14 દિવસ સુધીનો લાંબો છે આથી સંક્રમિત વ્યકિત સ્વસ્થ લાગતો હોવા છતાં બીજાને સંક્રમિત કરી શકે છે. આ વાયરસથી થતી કોવિડ-19 બીમારી મટાડવા માટે કોઇ દવા કે રસી શોધાઇ નથી પરંતુ તેના સંક્રમણથી બચવા માટે ઉપાયો જરુર કરી શકાય છે. આથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ નહી લોક ડાઉનનું પાલન કરીને ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એજ માત્ર ઉપાય છે.