Gujarat

ગુજરાતનાં મંત્રીઓને હકાલપટ્ટીનો ડર! મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ, CM-પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં

By GS TEAM
14 Oct 20252 mins read
TukuTouch Logo
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતનાં મંત્રીઓને હકાલપટ્ટીનો ડર! મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ, CM-પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં

Gujarat Politics: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

મોદી-શાહ સાથે બેઠક, મોટા નિર્ણયોની શક્યતા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. મુખ્યમંત્રીની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે, જે ઘણી સૂચક માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો પર મહોર લાગી શકે છે, તેમજ પાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે મહત્ત્વની ચર્ચા થશે.

સંગઠનમાં નવા ઓપની કવાયત

પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ જગદીશ પંચાલે નવી ટીમ બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી રત્નાકરની હાજરી જોતાં સ્પષ્ટ થાય છે કે આ મુલાકાત વહીવટી મુદ્દાઓને લઈને નથી, પરંતુ સંગઠનાત્મક ફેરફારો પર કેન્દ્રિત છે. સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે. જેમાં માત્ર યુવાઓને જ નહીં, પરંતુ અનુભવી જૂના જોગીઓને પણ સમાવી સંગઠનને મજબૂત અને વ્યૂહાત્મક બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ

મંત્રીઓને હકાલપટ્ટીનો ડર: સ્વર્ણિમ સંકુલમાં ધમધમાટ

દરમિયાન, મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ વેગ પકડતાં ઘણાં વર્તમાન મંત્રીઓને હકાલપટ્ટીનો ડર પેઠો છે. એવું જાણવા મળ્યું છે કે, ઘણાં મંત્રીઓની ઓફિસમાં મોડી રાત સુધી કામકાજ ચાલી રહ્યું છે અને બાકી ફાઈલોનો ઝડપી નિકાલ કરવાનું શરૂ કરાયું છે. સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ-2માં કેટલાંક મંત્રીઓના પટાવાળા અને પીએ-સ્ટાફ પણ ફાઈલો લઈને દોડાદોડ કરતાં નજરે પડ્યાં હતાં. પીએ અને સ્ટાફમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે કે મંત્રીની સાથે તેમની પણ વિદાય નિશ્ચિત થઈ શકે છે.