અમદાવાદમાં BRTS બસમાં બેટરી ફાટતા ભીષણ આગ લાગી, આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી ગઈ બસ
BRTS Bus Fire : ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક આજે, શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક BRTS બસ ઐતિહાસિક આસ્ટોડિયા દરવાજાની પાળી સાથે ધડાકા સાથે અથડાઈ હતી, લોકોએ જોયું તો બસમાં ભીષણ આગ લાગી હતી. અને બસ આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે.
BRTS બસમાં ભીષણ આગ
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે BRTS બસમાં આગ લાગી છે અને તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચડેલી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને મદદને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના
બસમાં આગનું કારણ અકબંધ
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બસ પાળી પર શા માટે ચઢી ગઈ તે અંગેની સચોટ માહિતી હજુ સુધી મળી નથી. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.