'અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ છે...', ગુજરાતમાં ભાજપના જ સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી
BJP MP Mansukh Vasava writes letter to CM: ભરુચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી છે અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી છે. તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરી છે કે, 'ભરુચથી આમોદ જંબુસર નજીક એન. એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ જર્જરિત છે. જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે.'
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર
ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખખડધજ રસ્તા અને જર્જરિત બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
સોશિલય મીડિયા પ્લેટફોર્મ 'X' પર મનસુખ વસાવાએ લખ્યું 'મારા લોકસભા ક્ષેત્ર ભરુચ અંતર્ગત ભરુચથી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ તથા અન્ય નાના બ્રિજ જર્જરિત છે. આ ઉપરાંત એન.એચ. 753 (બી) નેત્રંગથી દેડિયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર સરહદની વચ્ચે મોટી નદી ઉપર બ્રિજ પણ જર્જરિત હોવાથી મોટા વાહનો માટે બંધ કરાયો છે. જેના લીધે ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને જર્જરિત બ્રિજના સમારકામની જરૂર છે.'
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સીએમને પત્ર લખ્યો હતો
અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હાર્દિકે પત્રમાં લખ્યું કે, 'વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.'
ઉપવાસ આંદોલન ચીમકી ઉચ્ચારતા હાર્દિકે પત્રમાં લખ્યું, 'વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનું છું. પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ, ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી. મારે લોકો સાથે ઊભું રહેવું પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો પણ કરીશું.'