ભાજપમાં વિખવાદ? ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે પત્ર લખી MLAને ખખડાવ્યા
BJP Gujarat: ગુજરાતની શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં જાણે કંઈક અલગ જ રંધાઈ રહ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં થતી ખેંચતાણ પણ જાહેરમાં જોવા મળી છે. વળી બીજી બાજુ ભાજપના જ લોકોને અમદાવાદના જિલ્લા પ્રમુખની નિમણૂક પસંદ નથી આવી. એવામાં હવે જાહેરમાં ન બોલવાની શિસ્ત જાળવવા માટે નેતાઓ પત્રો લખીને એકબીજાની પોલ ખોલી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારની ફરિયાદ ગ્રામજનો દ્વારા અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલને કરવામાં આવી છે. ત્યારબાદ તેમણે ધારાસભ્ય બાબુસિંહ જાદવને સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા જણાવ્યું છે.
સમગ્ર મુદ્દે ગ્રામજનોએ પત્ર લખી આરોપ લગાવ્યો છે કે, ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે મહિલા હોવા છતાં વહીવટ તેમના પતિ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા રજાચિઠ્ઠી આપવાથી લઈ કોઈપણ કામમાં પૈસાનો વહીવટ કરવા માંગ કરતા હોવાની રજૂઆત વટવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવને કરી કરી હતી. પરંતુ, તેમના દ્વારા આ વિશે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેથી અમે ગ્રામજનો સાંસદને લેખિત ફરિયાદ કરીએ છીએ.
આ પણ વાંચોઃ ભાજપમાં આંતરિક વિવાદના લીધે ભડકો, ધોળકા નગરપાલિકાના 12 કાઉન્સિલરોએ ધર્યા રાજીનામા
ગ્રામજનોએ સરપંચ પતિ પર લગાવ્યા આરોપ
ભાજપના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને અગાઉ અનેક વખત આ મામલે મૌખિક રજૂઆત કરી હતી. સરપંચ પતિ જ પંચાયતનો વહીવટ ચલાવે છે. ગ્રામપંચાયતનું રૅકર્ડ પણ પોતાના ઘરે રાખીને સમગ્ર વહીવટ ચલાવે છે. ઇન્ડસ્ટ્રીયલ શેડ માટે રજા ચિઠ્ઠીના રૂપિયા લે છે. સંજયભાઈના પત્ની સરપંચ હોવા છતાં પણ સંજયભાઈ આજની તારીખે પણ પોતાને સરપંચ જ માને છે અને ધામતવાણ ગ્રામ-પંચાયતની વહીવટી કામગીરી તે પોતે જ કરે છે. સરકારી રૅકોર્ડ સાથે ચેડાં કરી પોતાને વ્યક્તિગત આર્થિક લાભ થાય તે હેતુસર બેફામ રીતે કોઈપણ વ્યક્તિના કે સરકારના ડર વગર પોતે જ ધામતવાણ ગ્રામ-પંચાયતના ધણી (માલિક) હોય તે રીતે કામ કરી રહ્યા છે. તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.
વિકાસના નાણાં ભ્રષ્ટાચારમાં વાપર્યા?
સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવેલ નાણાંમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. ઘણા બધા કામો તો સ્થળ ઉપર આજદિન સુધી થયેલા પણ નથી. સંજયભાઈના સરપંચ તરીકેના વર્ષ 2001થી અત્યાર સુધીના સમયગાળામાં થયેલા કામો અને ફાળવેલા નાણાંની યોગ્ય તપાસ થશે તો કરોડોની ઉચાપત બહાર આવશે.
સાંસદે ધારાસભ્યને કાર્યવાહીની કરી માંગ
જોકે, હવે પત્ર મળ્યા બાદ સાંસદ હસમુખ પટેલે વટવા ધારાસભ્ય બાબુસિંહ જાધવને યોગ્ય કાર્યવાહી કરવાનો લેટર લખતાં ભાજપમાં જ ખળભળાટ મચ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, કે ગ્રામજનોની ફરિયાદ મુદ્દે સત્વરે ન્યાય અપાવશો. ગ્રામજનોએ સરપંચ પતિ ઉપર ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકતો ઊભી કરાયાનો આક્ષેપ કર્યો છે. ગામમાં છેલ્લા 15 વર્ષથી એક જ પરિવારના સભ્યો સરપંચપદ ભોગવી રહ્યા છે. કોઈ સામે અવાજ ઉઠાવે તો તેમને ધમકી અપાય છે.