આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલે જમીન ફાળવવા ભલામણ કરી હતી
- કહાનવાડીમાં 114 કરોડની 237 વીઘા જમીન પાણીના ભાવે આપવાનો મામલો
- રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી રૂબરૂ મળ્યાનો ઉલ્લેખ કરી પોતાના લેટરપેડથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો
આણંદના ભાજપના સાંસદ મિતેશભાઈ પટેલે ૨૬/ ૫/૨૦૨૩ના રોજ પોતાના લેટરપેડ ઉપર સહી કરીને ગુજરાતના મુખ્યમંત્રીને જમીન ફાળવવા માટે ભલામણપત્ર લખ્યો હતો. જે પત્ર મુજબ રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સ્વામીજી તરફથી અમોને રૂબરુ મળીને કરેલી રજૂઆતે, સદરહું સંસ્થાન દ્વારા ભારતીય સંસ્કૃતિના સંસ્કારોના સિંચન સાથેનું આધુનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવી શકાય તેવા શુભઆશયથી મારા લોકસભા મતવિસ્તારમાં અત્યાધુનિક સુવિધાસજ ધર્મજીવન યુનિર્વસીટીના કેમ્પસનું નિર્માણ કરવા આયોજન કરવામાં આવેલ છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન છેલ્લા ૭૫ વર્ષ જેટલા લાંબા સમયથી બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવાની સરાહનીય કામગીરી કરી રહયા છે. સદર બાબત ધ્યાને લેતા આણંદ જીલ્લામાં સદરહું સંસ્થાનનું નવું શૈક્ષણિક સંકુલ શરૂ કરવામાં આવશે તો તેનો લાભ મારા લોકસભા મતવિસ્તારના બાળકો-યુવાનોને મળી રહેશે તેવી આશાસહ સદરહું શૈક્ષણિક સંકુલને અમો આવકારીએ છે.
સદરહું સંસ્થા દ્વારા તેઓના નવા પ્રોજેકટ માટે આંકલાવ તાલુકાના મોજે. કહાનવાડી ગામની સરકારી ખરાબાની જમીનની ફાળવણી રાજય સરકારશ્રીમાં તમામ સાધનિક કાગળ સહિત જમા કરવામાં આવેલ છે, તેમ મને જણાવવામાં આવેલ છે. સદરહું સંસ્થાનનો ઉમદા હેતુ ધ્યાને રાખી જમીનની ફાળવણી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર ફાળવણી થવા મારી અંગત ભલામણ છે.