વિસાવદરમાં ભાજપના ઉમેદવારને લોકોના સવાલોના ડર, કેટલાક ગામમાં પ્રચાર માટે જવાનું ટાળ્યું
Visavadar By Election 2025: વિસાવદરના મતદારોએ તેમનો અસલી મિજાજ બતાવવાનું શરુ કરી દીઘું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો શુક્રવારે સવારે ભેસાણના વાંદરવડ ગામે ચૂંટણીનો પ્રવાસ હતો. તેમાં વાંદરવડ ગામના સ્થાનિકો ઉપરાંત મંડળીના કૌભાંડનો ભોગ બનનાર તથા પોતાના સ્વજન ગુમાવનાર લોકો સવાલો પૂછે તેમ હતા. આ સ્થિતિની ઉમેદવાર અને ભાજપના આગેવાનોને જાણ થઈ જતાં પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે રજૂઆત કર્તાઓને અટકાવ્યા હતા. મામલો વધુ ન બિચકે તે માટે ઉમેદવાર કિરીટ પટેલે વાંદરવડ જવાનું ટાળ્યું હતું.
કૌભાંડોમાં ભાજપના આગેવાનો
અનેક સહકારી મંડળીઓમાં કૌભાંડ થયા છે. જેમાં ભેસાણ તાલુકાના વાંદરવડ, ધારી ગુંદાળી, છોડવડી સહિતના અનેક ગામના નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા છે. મૃતક ખેડૂતોના નામે લોન લેવાઈ ગઈ, જેના મંડળીમાં ખાતા નથી તેઓના નામે લોન ઉધારાઈ ગઈ આવી સ્થિતિના કારણે થોડા સમય પહેલા વાંદરવડના એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. મંડળીના કૌભાંડોમાં ભાજપના આગેવાનો અને જેડીસીસી બૅંકના ચેરમેન કિરીટ પટેલ સામે આક્ષેપો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: વિસાવદરના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી!
પોલીસે રજૂઆત કર્તાઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો
ઉમેદવાર તરીકે કિરીટ પટેલ આજે સવારે વાંદરવડથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. આ અંગેની વાંદરવડના લોકોને જાણ થઈ જતા જે વ્યક્તિએ મંડળીના કૌભાંડના લીધે આત્મહત્યા કરી છે, તેના પરિવારજનો તથા ભોગ બનનાર અન્ય ખેડૂતો તેમની રજૂઆત માટે તેમની રાહ જોઈ ઊભા હતા. કિરીટ પટેલ આવે તે પહેલાં ભાજપના અન્ય આગેવાનો વાંદરવડ પહોંચ્યા હતા. તેમને સ્થાનિકો ‘કિરીટ પટેલ ક્યારે આવે છે, તેમને અમારે રજૂઆત કરવી છે, અમારે ન્યાય જોઈએ છે’ એમ કહેતા હતા ત્યાં પોલીસના ધાડેધાડા આવી ગયા હતા. પોલીસે રજૂઆત કર્તાઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
આ મામલો વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ હોવાથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વાંદરવડ જવાનું ટાળ્યું હતું અને થોડીવારમાં ભાજપના આગેવાનો પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ આ અંગે ‘આપ’ના ઉમેદવારને જાણ કરતાં તે ત્યાં પહોંચ્યા હતા તથા આત્મહત્યા કરનારના પરિવારજનો અને ભોગ બનનાર અન્ય ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.