Get The App

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત 1 - image

આણંદ બોરસદ રોડ ઉપર

સરદાર ગંજ બજારમાં ડ્રાઈવિંગની નોકરી કરતા બોરસદના કસુંબાડ ગામના યુવકનું મૃત્યુ

આણંદ: આણંદ બોરસદ રોડ ઉપર આવેલ અંધારીયા ચોકડી નજીક ગઈકાલ સાંજે ઇકો ગાડીની ટક્કરે બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના કસુંબાડ ખાતે રહેતા અજીતભાઈ ગોહેલનો પુત્ર સંજય કુમાર (ઉં.વ.૨૯) આણંદના સરદાર ગંજ બજારમાં એક વેપારીને ત્યાં વાન ઉપર ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. કસુંબાડથી તે બાઈક લઈને આણંદ ખાતે નોકરી ઉપર આવતો હતો. ગતરોજ સંજય ગોહેલ બાઈક લઈને આણંદ આવ્યો હતો અને નોકરી પતાવ્યા બાદ સાંજના સુમારે બાઈક લઈને નાવલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન અંધારીયા ચોકડી પાસે નાવલી તરફથી પૂરઝડપે ઇકો કારના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક સંજય કુમાર ગોહેલ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. અકસ્માતમાં માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે સંજય કુમાર ગોહેલને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજીતભાઈ ગેમાભાઈ ગોહેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.