પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Former IPS Kuldeep Sharma Lookout Notice: કચ્છમાં વર્ષ 1984ના દાણચોરી મામલે કોંગી અગ્રણી ઈભલા શેઠને માર મારવાના પ્રકરણમાં ગુજરાતના પૂર્વ IPS અધિકારી અને કચ્છના પૂર્વ એસ.પી. કુલદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે. કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હોવા છતાં હાજર ન થતાં, કુલદીપ શર્મા વિદેશ ભાગી છૂટે તેવી આશંકાના પગલે ભુજ સેશન્સ કોર્ટે તેમની સામે લુકઆઉટ નોટિસ (Lookout Notice) ઈશ્યૂ કરી છે.
41 વર્ષ જૂનો કેસ અને સજા
આ ઘટના વર્ષ 1984ની છે, જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય સાથેનું એક પ્રતિનિધિ મંડળ ભુજમાં તત્કાલીન એસ.પી. કુલદીપ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવ્યું હતું. આ દરમિયાન એસ.પી. ઓફિસમાં અબડાસા તાલુકાના કોંગી અગ્રણી ઈભલા શેઠને ગોંધી રાખીને માર મારવાનો કેસ નોંધાયો હતો.
આ મામલે ફેબ્રુઆરી 2025માં ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને તત્કાલીન પીઆઈ ગિરીશ વસાવડાને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે બંનેને ત્રણ-ત્રણ માસની કેદ અને એક-એક હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ સજા સામે કરવામાં આવેલી હાઈકોર્ટની અપીલ પણ રદ થઈ હતી.
આ પણ વાંચો: ફોન પે અને પેટીએમની બનાવટી એપ દ્વારા વેપારીઓ સાથે ઠગાઈનો કારસો, દિવાળીમાં સાવચેત રહેવું
ધરપકડ વોરંટ અને લુકઆઉટ નોટિસ
હાઈકોર્ટમાંથી અપીલ રદ થયા બાદ ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે સમય આપ્યો હતો. જો કે, આ મુદત પૂર્ણ થયા બાદ પણ કુલદીપ શર્મા હાજર ન થતાં કોર્ટે તેમની ધરપકડ માટે વૉરન્ટ જાહેર કર્યું હતું. તેમ છતાં હાજર ન થતાં, પોલીસે કોર્ટ સમક્ષ અરજી મૂકી હતી કે કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવે. કોર્ટે આ અરજી મંજૂર કરી છે. હવે આ લુકઆઉટ નોટિસ તમામ એરપોર્ટ પર પહોંચતી કરવામાં આવશે, જેથી તેઓ દેશ છોડીને જઈ ન શકે. નોંધનીય છે કે, કાયદાકીય પ્રક્રિયાના 41 વર્ષ બાદ પણ પૂર્વ ઉચ્ચ અધિકારી પર કાયદાનો સંકજો કસાયો છે.








