ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Road Accident: ભાવનગરથી એક ગમખ્વાર અકસ્માતની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે તેમજ અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ, આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે તંત્રની ઘોર બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

શું હતી ઘટના?
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. એક પરિવાર સુરતથી અમરેલી કોઈક કામ માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન અધવચ્ચે જ રોડ પૂરો થઈ જતા ગાડી રોડ પરથી નીચે ખાબકી હતી. કાર નીચે પટકાતાની સાથે જ કાર ભડભડ બળવા લાગી. જેથી કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું અને અન્ય ત્રણ લોકો દાઝી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
![]() |
મૃતક મહિલા |
તંત્રની બેદરકારીએ લીધો મહિલાનો જીવ
જોકે, આ મામલે તંત્રની ઘોર બેદરકારી પર પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં સ્થાનિકોએ આ મામલે જણાવ્યું કે, આ અકસ્માત જ્યાં થયો ત્યાં રોડનું કામ ચાલુ હોવા છતાં કોઈ પ્રકારના સાઇન બોર્ડ કે ચેતવણી ચિહ્નો લગાવવામાં નહતા આવ્યા. જોકે, અકસ્માત બાદ તુરંત તંત્ર દ્વારા સાઇડમાં માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા, જેથી પોતાની બેદરકારી છૂપાવી શકે.









