બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ્નો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલી ફિમેલ હેલ્થ વર્કર (ANM) ટ્રેનિંગ સ્કૂલ અને કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોસ્ટેલ અને કેમ્પસમાં પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે અભ્યાસ પર પણ અસર પડી રહી છે, તેવી ફરિયાદ વિદ્યાર્થીનીઓ કરી રહી છે. તેમનો દાવો છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
કેન્ટીન અને પાણીનો અભાવ
વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં કેન્ટીનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે તેમને જમવા માટે બહાર જવું પડે છે અને વધારાનો ખર્ચ કરવો પડે છે. છેલ્લા એક અઠવાડિયાથી કોલેજમાં પાણીનો પુરવઠો પણ બંધ છે, જેના કારણે સ્વચ્છતા જાળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પીવા અને અન્ય ઉપયોગ માટે પાણી બહારથી ખરીદવું પડે છે, જે તેમના બજેટ પર ભારણ વધારે છે.

અસુરક્ષા અને બિનશૈક્ષણિક વાતાવરણ
વિદ્યાર્થીનીઓએ એવો પણ દાવો કર્યો છે કે, તેમને અહીં રહેવા અને ભણવા માટે યોગ્ય વાતાવરણ મળતું નથી. દૂર-દૂરથી સારા શિક્ષણની અપેક્ષા સાથે આવેલી આ વિદ્યાર્થીનીઓને અપૂરતી સુવિધાઓ મળી રહી છે. વધુમાં, સુરક્ષા વ્યવસ્થા પણ અપૂરતી છે. ચાર સિક્યુરિટી ગાર્ડની જગ્યાએ માત્ર ત્રણ જ ગાર્ડ ફરજ બજાવે છે, જેનાથી સુરક્ષા અંગે ચિંતા વધી છે.
વરસાદી પાણી ભરાવાથી રોગચાળાનું જોખમ
વરસાદની સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, હોસ્ટેલના પાછળના ભાગમાં અને હોસ્ટેલથી કોલેજ સુધીના રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાઈ જાય છે. આ ગંદા પાણીમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી. હોસ્ટેલ દ્વારા વાહનની કોઈ સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી. પાણી ભરાવાને કારણે ગંદકી ફેલાય છે અને ગંભીર રોગો થવાનું જોખમ પણ વધી ગયું છે. વિદ્યાર્થીનીઓએ આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના
આચાર્ય અને સંચાલકોનું મૌન
બાવળાની ફીમેલ હેલ્થ વર્કર (ANM) તાલીમ શાળામાં વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ થયેલી ગંભીર સમસ્યાઓ અંગે આચાર્ય અને સંચાલકોને પૂછવામાં આવતાં તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર મામલે તેમનું મૌન પરિસ્થિતિની ગંભીરતામાં વધારો કરી રહ્યું છે.








