કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના
Chardham Yatra News: ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાઈ ગયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ શ્રદ્ધાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા હતા. જો કે, હવે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય અપાયો હતો. બાદમાં રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ આ શ્રદ્ધાળુઓનું જૂથ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે ફસાઈ ગયું હતું. અહીં સખત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરાઈ હતી.
આ દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ફસાયેલા લોકોનો સંપર્ક કરાોય હતો. હાલ તમામ 47 યાત્રાળુ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. વરસાદ બંધ થતાં માર્ગ ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે.