ગુજરાતની ધરતી પરથી કેજરીવાલનો પડકાર, 'ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઈશ'
Arvind Kejriwal in Visavadar: આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજી હતી. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. રેલી બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદર વાસીઓને સંબોધ્યા હતા.
અરવિંદ કેજરીવાલના સંબોધનની શરૂઆત કરતાં પહેલાં જનમેદનીમાંથી કોઇએ આઇ લવ યુ કહેતાં અરવિંદ કેજરીવાલે આઇ લવ યુ....ટુ...થ્રી.. ફોર કહ્યું વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું હતું. અરવિંદ કેજરીવાલે વિસાવદરવાસીઓને પ્રેમને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી
વિસાવદર વાસીઓને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે '18 વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘૂસવા દીધી નથી. 18 વર્ષથી ભાજપ વિસાવદરમાં જીતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો તો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો. તો ભાજપે વિસાવદર પર હુમલો કરી દીધો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પહેલાં તમે લોકોએ કોંગ્રેસના હર્ષદ રાબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરીને તેને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. વિસાવદરવાસીઓએ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી જીતાડ્યા. ભાજપે તેમને પણ ખરીદી લીધા.
આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયા આજે કેજરીવાલની હાજરીમાં ફોર્મ ભરશે, આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
જન આર્શિવાદ યાત્રામાં અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે 'ભાજપ કહે છે કે વિસાવદવાસીઓ તમારી મરજી હોય તેને જીતાડો, અમે તેને ખરીદી લઇશું. તો આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે પણ અમારો હિરા જેવો સભ્ય ઉભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે, કેજરીવાલ રાજકારણ છોડી દેશે. ગોપાલ ઇટાલિયાને એટલી ભારે બહુમતિથી જીતાડજો કે ભાજપને તમાચો લાગવો જોઇએ.
કોંગ્રેસ પણ એક નંબરની દગાબાજ છે
આગળ તેમણે કહ્યું કે 'આ કોંગ્રેસ પણ એક નંબરની દગાબાજ છે. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે. ભાજપના ખિસ્સામાં બેઠી છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, જ્યારે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા. કોંગ્રેસ અમારી પાસે આવીને કહ્યું કે અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઉભો ન રાખો. અમે અમારો ઉમેદવાર ઉભો ન રાખ્યો કારણ કે અમારે ભાજપને હરાવવી હતી.'
આ પણ વાંચો: વિદ્યાર્થી એક જ વર્ષમાં બે ડિગ્રી મેળવે તો UGCની ગાઈડલાઈન્સ લાગુ પડે..? હાઈકોર્ટ સમક્ષ કાયદાકીય મુદ્દો
'ગોપાલ વિસાવદર માટે જ નહીં આખા ગુજરાત માટે લડશે'
વિસાવદરની ચૂંટણીમાં અમે કોંગ્રેસને તેનું વચન યાદ અપાવ્યું કે વિસાવદરમાં તમારો ઉમેદવારો ઉભો રાખશો નહી. કોંગ્રેસે માન્યું નહી કારણ કે ભાજપનો આદેશ હતો કે કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખે. કોંગ્રેસ દગાબાજ છે. આ વખતે કોંગ્રેસને પણ મજા ચખાડવાની છે. આ વખતે તમારે કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીઓને મજા ચખાડવાની છે. અમારો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભષ્ટાચારીઓ સામે લડે છે. કોઇનાથી ડરતો નથી. મોટા મોટા ભષ્ટાચારીઓની ઐસી તૈસી કરી નાખે છે. ગોપાલ ઇટાલિયા તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે જ નહીં આખા ગુજરાત માટે લડશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતથી જીતાડવાના છે અને વિધાનસભામાં પહોંચડાવાના છે. ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે. વિધાનસભામાં જઇને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. હું તમારો ઉત્સાહ જોઇ રહ્યો છું તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઇને સપોર્ટ કરવા ઉભા છો.