કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: કોરોનાકાળમાં બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ (ડિઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેનને આજે 7 ડિસેમ્બરે કઠાણા રેલવે સ્ટેશનથી લીલીઝંડી અપાઈ હતી. આ મેમુ ટ્રેન ફરી શરૂ થતાં આસપાસના 65 ગામોના મુસાફરોને મોટી રાહત મળી છે.
મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ નોકરી માટે વડોદરા જિલ્લામાં જતા નાગરિકોને પડતી વધુ મુશ્કેલી પડતી હતી. ઉપરાંત, આ વર્ષે ગુજરાતમાં આવેલા પૂરથી માર્ગ તેમજ રેલવે સુવિધાઓને ભારે નુકસાન થયું હતું. વાસદ-કઠાણા રેલ માર્ગ તથા સ્ટેશનોની ઈમારતોને પણ નુકસાન થયું હતું. લોક પ્રતિનિધિઓ અને સ્થાનિક મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને ડીઆરએમ રાજુ ભડકેના નિર્દેશનમાં આ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કઠાણા રેલ્વે સ્ટેશન ખાતેથી કેબિનેટ મંત્રી રમણ સોલંકી, સાંસદ મિતેષ પટેલ, જિલ્લા પ્રમુખ સંજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલના હસ્તે મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ક્યાં ક્યાં રહેશે સ્ટોપેજ?
આ ટ્રેનનું બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, રણોલી, કરચિયા યાર્ડ – બાજવા સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે. પૂરથી અસરગ્રસ્ત આ સેક્શનમાં બેલાસ્ટ ફાઇલિંગ, ટ્રેક ટેમ્પરિંગ, લેવલ ક્રોસિંગ પર લિફિંટગ બેરિયર રિપેરિંગ વગેરે તથા બોચાસણ, બોરસદ, કઠાણા સ્ટેશનો પર કવર શેડ, પ્લેટફોર્મ, એપ્રોચ રોડ,પ્લાસ્ટરિંગ સહિતના સમારકામથી સમગ્ર સેક્શનને ફરીથી ટ્રેન પરિચાલન માટે યોગ્ય બનાવાયો છે.
અપડાઉન કરતા મોટાવર્ગને રાહત
બોરસદ અને આંકલાવ વિસ્તારના નાગરિકો લાંબા સમયથી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ થાય તે માટે રાહ જોઈ રહ્યા હતા. વાસદ – કઠાણા ડેમૂ સેવા ફરી શરૂ થવાથી અપડાઉન કરતા નોકરિયાત, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. અત્રે નોંધનીય છે કે, ગંભીરા બ્રિજ તૂટતા અસંખ્ય લોકોને રોજગાર તથા શિક્ષણ માટે વડોદરા જવા હાડમારી વેઠવાનો વખત આવ્યો હતો.








