આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા: કેબિનેટે મંજૂરી આપી, સરદાર પટેલની ઓળખ જળવાશે
Karamsad-Anand Municipal Corporation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં આણંદ મહાનગરપાલિકાના નામકરણ અંગે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા માટે ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને કારણે આ નિર્ણય લેવાયો છે.
આ રજૂઆતો અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લઈને, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે આ મહાનગરપાલિકા જોડાયેલી રહે તે માટે આણંદ મહાનગરપાલિકાના સ્થાને 'કરમસદ-આણંદ મહાનગરપાલિકા' નામાભિધાન કરવા માટે કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તેમજ નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને 'આણંદ મહાનગરપાલિકા'માં રૂપાંતરિત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના નાગરિકોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ વર્ષે કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત
જે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં નીચેના શહેરોનો સમાવેશ થાય છે:
નવસારી
ગાંધીધામ
મોરબી
વાપી
આણંદ
મહેસાણા
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ
નડિયાદ
પોરબંદર-છાયા