જામનગર-ખંભાળિયા હાઈવે પર પદયાત્રીઓની સેવામાં જતા કારસેવકોને નડ્યો અકસ્માત, છ લોકો ઘાયલ
એક ગર્ભવતી મહિલા સહિત છ સેવાભાવી લોકો ઘાયલ,જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ
Updated: Mar 21st, 2024
Jamnagar News: સૌરાષ્ટ્ર ભરમાંથી પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે, ત્યારે પદયાત્રીઓની સેવા માટે પણ અનેક કેમ્પ ઉભા કરાયા છે, તો કેટલાક સેવાભાવી લોકો દ્વારા હાઈવે રોડ પર જઈને પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. જે પૈકીના એક સેવાભાવી લોકોના વાહનને પડાણા નજીક અકસ્માત નડ્યો હતો. જમાં છ લોકો ઘાયલ થતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જામનગરમાં વસવાટ કરતા ત્રણ મહિલા સહિતના છ સેવાભાવી લોકો એક છોટા હાથીમાં રાહત સામગ્રી લઈને જામનગરથી ખંભાળીયા ધોરીમાર્ગ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ગઈ રાત્રે પડાણા ગામના પાટીયા પાસે તેઓના છોટા હાથીને એક ટ્રક સાથે ટકરાઈ જતાં અકસ્માત નડ્યો હતો, અને તમામ છ સેવાભાવી લોકો ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. જોકે તમામની હાલત સુધારા પર છે.