Gujarat

અમરેલીના હીપાવડલીમાં વરસાદે સર્જી નવી આફત: ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી, ગ્રામજનો મુશ્કેલીમાં

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમરેલીના હીપાવડલી ગામમાં વરસાદના કારણે પુલ તૂટવાથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. અમેરલીના સાવરકુંડલા તાલુકાના હીપાવડલી ગામમાં ભારે વરસાદના કારણે સ્મશાન જવાના રસ્તાનો પુલ ધરાશાયી થયો છે. આ પુલ તૂટવાના કારણે ગામના બે મૃતકોને અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી પણ પહોંચાડી શકાય એવી સ્થિતિ નથી. પુલ એટલી ભયાનક રીતે તૂટ્યો છે કે, ચાલીને જવાય તેવી સ્થિતિ પણ નથી. જેના કારણે ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના હીપાવડલીમાં વરસાદે સર્જી નવી આફત: ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી, ગ્રામજનો મુશ્કેલીમાં

Amreli Rain Update: છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમરેલીના હીપાવડલી ગામમાં વરસાદના કારણે પુલ તૂટવાથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. અમેરલીના સાવરકુંડલા તાલુકાના હીપાવડલી ગામમાં ભારે વરસાદના કારણે સ્મશાન જવાના રસ્તાનો પુલ ધરાશાયી થયો છે. આ પુલ તૂટવાના કારણે ગામના બે મૃતકોને અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી પણ પહોંચાડી શકાય એવી સ્થિતિ નથી. પુલ એટલી ભયાનક રીતે તૂટ્યો છે કે, ચાલીને જવાય તેવી સ્થિતિ પણ નથી. જેના કારણે ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


શું હતી ઘટના?

અમરેલીના સાવરકુંડલામાં વરસાદના કારણે તંત્રના પાંગળાં વિકાસની પોલ ખુલી ગઈ છે. હીપાવડલી ગામમાં સ્મશાને જવાના રસ્તે આવેલો પુલ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો છે. આ પુલ એટલી ભયાનક રીતે તૂટ્યો છે કે, ગ્રામજનો ચાલીને પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જોકે, દુઃખદ વાત તો એ છે કે, આ વરસાદની વચ્ચે ગામમાં બે લોકોના મૃત્યુ થયા છે અન પુલ ધરાશાયી થવાના કારણે મોતનો મલાજો જાળવીને મૃતદેહોને અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી પહોંચાડી શકાય તેવી પણ સ્થિતિ નથી. 



આ પણ વાંચોઃ વડોદરામાં પોણો ઇંચ વરસાદ: પાદરામાં સૌથી વધુ સવા ઇંચ, ડેસર તાલુકો કોરો કટ

ખેડૂતો ખેતરે પણ નથી જઈ શકતા

નોંધનીય છે કે, ગામના ખેડૂતો પણ આ પુલ ઉપરથી જ પસાર થઈને પોતાના ખેતરે જાય છે. હવે આ પુલ ધરાશાયી થયો હોવાના કારણે ટ્રેક્ટર તો દૂર બળદ ગાડું લઈ જવું પણ કપરું બની રહ્યું છે. 


તંત્રએ આંખ આડા કાન કર્યા

આ દુર્ઘટનાને આજે બે દિવસ થઈ ગયા છે. ગ્રામજનોએ બે દિવસ પહેલાં પુલ તૂટતાંની સાથે જ તંત્ર તેમજ ધારાસભ્ય સહિતના લોકોને આ વિશે રજૂઆત કરી દીધી હતી. જોકે, આ મામલે હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. ગામના લોકો તાત્કાલિક ધોરણે પુલ રિપેર કરાવવાની માંગ કરી રહ્યા છે. આશરે 5 હજારની જનસંખ્યા ધરાવતા આ ગામમાં પુલ તૂટવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો ખેતર અને ગ્રામજનોનો સ્મશાન સાથેનો સંપર્ક તૂટ્યો છે. જોકે, ધારાસભ્ય અને TDOને રજૂઆત છતાં જાણે તંત્રએ ગ્રામજનોની કપરી હાલત સામે આંખ આડા કાન કર્યા હોય તેવું વર્તાઈ રહ્યું છે. 


આ પણ વાંચોઃ Monsoon Rain Updates : ગુજરાતમાં સવારથી મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ, જુઓ 90 તાલુકાની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરૂવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.