VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ | ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ
Ahmedabad plane crash : ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જેમાં 242 લોકો સવાર હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ LIVE: 200થી વધુના મોતની આશંકા, એકનો ચમત્કારિક બચાવ; અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળ્યા હતા. જેમાં આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે પણ ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી.
અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે 'ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.'