Amit Khunt Case: રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી રહીમ મકરાણીને LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે રહીમ મકરાણીની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરી છે. પોલીસથી બચાવ માટે રહીમ 5 રાજ્યોમાં ફર્યો હતો. હવે, આરોપીની રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરાશે.
5 થી વધુ રાજ્યોમાં લીધો આશ્રય
પોલીસ પકડથી બચવા માટે આરોપી રહીમ મકરાણી તેનું લોકેશન બદલતો રહેતો હતો. રહીમ 8 મહિના સુધી ફરાર રહ્યો, આ દરમિયાન તેને ભારતભરમાં રઝળપાટ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રહીમે પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અલગ-અલગ જગ્યાએ આશ્રય લીધો હતો. જોકે, અંતે તે જૂનાગઢ આવતા જ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો.
આરોપીના રિમાન્ડ મેળવવાશે
રહીમની ધરપકડ બાદ પોલીસ હવે સઘન પૂછપરછ માટે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરશે. જેમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રહીમની સંડોવણી અને તેની ફરાર અવસ્થા દરમિયાન તેને કોણે કોણે મદદ કરી તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ રહીમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે.
શું છે અમિત ખૂંટ આત્મહત્યા કેસ?
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, 'છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.' જો કે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.'
આ આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.



