Ambaji Temple Ropeway Service: સુપ્રસિદ્ધ યાત્રાપીઠ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ 14 ઓક્ટોબર, 2025ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષા અને પહાડની જાળવણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
'જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સરવે' માટે કામગીરી બંધ
ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે બંધ રાખવાનું મુખ્ય કારણ પહાડના પથ્થર ચકાસણીની કામગીરી છે. તંત્ર દ્વારા પર્વત પરના પથ્થરોના ગુણધર્મની ચકાસણી માટે 'જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સરવે'ની કામગીરી હાથ ધરવામાં આવનારી છે.
એક દિવસ માટે ગબ્બરની તમામ ગતિવિધિઓ બંધ
આ વૈજ્ઞાનિક સરવે દ્વારા પહાડની સ્થિરતા અને મજબૂતીનું આકલન કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ તપાસ જરૂરી હોવાથી, એક દિવસ માટે ગબ્બર પરની તમામ ગતિવિધિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ
યાત્રાળુઓને સહકાર આપવા વિનંતી
અંબાજી શક્તિપીઠ પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તેમને અસુવિધા ન થાય તે માટે વહેલી જાહેરાત કરવામાં આવી છે. મંદિર અને વહીવટી તંત્રએ યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ 14 ઓક્ટોબર, 2025ના દિવસે ગબ્બર પર્વત પર દર્શન માટે આવવાનું ટાળે, જેથી સુરક્ષા સંબંધિત સરવેની કામગીરી કોઈ અવરોધ વિના સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.


