અમદાવાદ પ્લેન ક્રેશ | ઈજાગ્રસ્તોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવાયો, CM ભૂપેન્દ્ર પટેલે જુઓ શું કહ્યું
Air India Plane Crashed In Ahmedabad: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી છે. આ દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બચાવ કામગીરી અને દુર્ઘટના અંગે જાણકારી આપી છે.
LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 50થી વધુ મૃતદેહો મળ્યાના અહેવાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તીટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા અને હૉસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ–રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.'
આંખના પલકારામાં સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેક ઑફ કરી હતી. ટેક ઑફની માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનું નિયંત્રણ ગુમાવતાં તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.