અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 200થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાઇલોટ, ક્રૂ મેમ્બર સહિત 200થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા વિમાન ક્રેશ થઇ ગયું હતું.
અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલ આવવા રવાના થઈ ગયા છે.
આ પણ વાંચો: LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 200થી વધુ મુસાફર ધરાવતી ફ્લાઈટ લંડન જતી હતી
ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં અત્યાર સુધી 50થી વધુ મૃતદેહો મળ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હતા.
ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરૂ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.