Traffic Guidelines for Kankaria Carnival 2025: અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે આગામી તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 'કાંકરિયા કાર્નિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, જેને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને જનતાની સુરક્ષા જળવાય રહે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાત દિવસ દરમિયાન કાંકરિયા અને તેની આસપાસના વિસ્તારોને 'નો પાર્કિંગ ઝોન', 'નો સ્ટોપ' અને 'નો યુ-ટર્ન' જાહેર કરવામાં આવ્યા છે.
નો સ્ટોપ અને નો પાર્કિંગ ઝોન
કાંકરીયા ચોકી ત્રણ રસ્તાથી રેલ્વે યાર્ડ, ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હૉસ્પિટલ, મચ્છી પીર ચાર રસ્તા, પુષ્પકુંજ સર્કલ, અપ્સરા સિનેમા, ફૂટબોલ ગ્રાઉન્ડ અને લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરીયા ચોકી સુધીના સમગ્ર સર્કલ રોડ પર કોઈપણ વાહન ઊભું રાખી શકાશે નહીં. ટુ-વ્હીલરથી ઉપરના તમામ વાહનો માટે આ માર્ગ પર થોભવાની મનાઈ છે. વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરી શકાશે.

નો યુ-ટર્ન
કાંકરિયા તળાવની ફરતે આવેલો સર્કલ રોડ ટુ-લેન હોવા છતાં, સુરક્ષાના કારણોસર કોઈપણ જગ્યાએથી યુ-ટર્ન લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારે વાહનો પર પ્રતિબંધ
કાર્નિવલના દિવસોમાં સવારે 8થી રાત્રે 1 વાગ્યા સુધી દાણીલીમડા ચાર રસ્તા અને ચંડોળા પોલીસ ચોકીથી શાહ આલમ થઈ કાંકરિયા તરફનો રોડ, મણિનગર રેલ્વે સ્ટેશન, રામબાગ ચાર રસ્તાથી કાંકરિયા તરફનો માર્ગ, કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન અને રાયપુર દરવાજાથી બીગ બજાર થઈ કાંકરિયા આવતો રોડ, ગુરુજી બ્રિજ, હીરાભાઈ ટાવર અને ભૈરવનાથ ચાર રસ્તાથી કાંકરિયા તરફ આવતો રસ્તા પર માલવાહક અને પેસેન્જર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે
આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કાર્નિવલના કામકાજ સાથે જોડાયેલા વાહનો તથા આકસ્મિક સંજોગોમાં નીકળેલા વાહનોને લાગુ પડશે નહીં. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


