Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં બુધવારે (11મી ફેબ્રુઆરી) પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પ્લાન્ટને 8 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શટડાઉનને કારણે શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી શકશે નહીં, જેના કારણે નાગરિકોએ પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે.

આજથી આવતીકાલ સવાર સુધી ઓછા પ્રેશરથી પાણી આવશે
પ્લાન્ટની જાળવણી માટે આજે (10મી ફેબ્રુઆરી) સાંજે 4 વાગ્યા સુધી કામગીરી ચાલવાની હોવાથી તેની સીધી અસર બુધવારે સવારના પાણી વિતરણ પર જોવા મળશે. આજે સવારનો પાણીનો જથ્થો આપ્યા બાદ સિસ્ટમ બંધ કરવામાં આવી હોવાથી લાઇનોમાં પાણીનું દબાણ ઘટશે. આ પરિસ્થિતિને જોતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે 11મી ફેબ્રુઆરીના રોજ સવારે પાણી અત્યંત ઓછા પ્રેશરથી આવશે. જોકે, આ સમારકામ પૂર્ણ થયા બાદ બુધવારથી સમગ્ર શહેરમાં રાબેતા મુજબ અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCનું 18,518 કરોડ રૂપિયાનું બજેટ રજૂ, જાણો કયા વિસ્તારને શું મળ્યું?
વિગતવાર વિસ્તારોની વાત કરીએ તો, કોતરપુર પ્લાન્ટ પર નિર્ભર એવા પૂર્વ અમદાવાદના નરોડા, સરદારનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ અને નારોલ સુધીના વિસ્તારોમાં અસર થશે. આ ઉપરાંત ઓઢવ, વિરાટનગર, સૈજપુર અને મધ્ય શહેરના શાહીબાગ, અસારવા, શાહપુર, દરિયાપુર, જમાલપુર તથા ખાડિયામાં પણ પાણીની સમસ્યા રહેશે. ઉત્તર અમદાવાદના મોટેરા, ચાંદખેડા, સાબરમતી અને સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પણ ઓછા પ્રેશરથી પાણી મળવાને કારણે રહેવાસીઓને જરૂરિયાત મુજબનું પાણી સંગ્રહી રાખવા અને કરકસરપૂર્વક વાપરવા સૂચના આપવામાં આવી છે.


