Subhash Bridge Closed: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
હાલમાં ગુજરાત સરકારના R&B ડિઝાઇન સર્કલ અને AMCની M પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

IITs અને SVNIT સહિતના નિષ્ણાતો દ્વારા સઘન ટેસ્ટિંગ
સુભાષ બ્રિજનું વધુ સઘન નિરીક્ષણ અને ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાતાં હવે આ કામગીરી અનુભવી તજજ્ઞોને સોંપવામાં આવી છે. હાલમાં SVNIT (સુરત) દ્વારા બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણીનું કામ નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે. આગામી સમયમાં આ બ્રિજનું વિસ્તૃત ઇન્સ્પેક્શન IIT મુંબઈ અને IIT રુડકી સહિત અન્ય બ્રિજ નિષ્ણાતો પાસેથી પણ કરાવવામાં આવનાર છે. AMC 25 ડિસેમ્બર 2025 સુધી આ સઘન અને વિસ્તૃત તપાસ પૂર્ણ કરીને બ્રિજની સલામતી અંગે નિર્ણય લેશે, ત્યાં સુધી જાહેર જનતાએ આ બંધની નોંધ લેવા વિનંતી છે.


