આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
Shastri Bridge Close Fore 10 Days: પીરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે સાબરમતી નદી પરના હયાત જૂના શાસ્ત્રી બ્રિજના ડાબી તરફ આવેલા પર પુલ પર મશીનરી રાખી નિરીક્ષણ કરાશે. આ કામગીરી 10 સપ્ટેમ્બર સુધી સવારે 11 થી સાંજે 5 દરમિયાન કરાશે. જેના કારણે ડાબી બાજુના બ્રિજનો કુલ 500 મીટરનો માર્ગ તમામ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુવિધા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે શાસ્ત્રી બ્રિજ અંગે એક અગત્યનું જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, આગામી 10 દિવસ માટે બ્રિજનો એક ભાગ બંધ રહેશે.
શાસ્ત્રી બ્રિજ (પિરાણાથી વિશાલ જંકશન) 10 દિવસ માટે બંધ
જાહેરનામા મુજબ, શાસ્ત્રી બ્રિજનો પિરાણા જંકશનથી વિશાલ જંકશન તરફ જતો ડાબી બાજુનો પુલ તારીખ 1 સપ્ટેમ્બર, 2025 થી 10 સપ્ટેમ્બર, 2025 સુધી સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
આ પણ વાંચો: SG Highway પર ફ્લાયઓવરની કામગીરીને લીધે ભારે ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત
વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા
આ સમયગાળા દરમિયાન, વિશાલા જંકશનથી નારોલ તરફનો બ્રિજનો એક ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. જોકે, આ નિર્ણયના કારણે વિશાલ અને પિરાણા તરફથી આવતા વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ભારે અને મોટા વાહનો માટે બ્રિજ પર પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ પરથી દરરોજ 5,000થી વધુ વાહનો પસાર થાય છે. તેથી, વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સહકાર આપે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે અને સહકારની અપેક્ષા રાખી છે.