Gujarat

અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી: વાલીઓએ કહ્યું- બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા

By GS TEAM
17 Dec 20253 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલોને પગલે આજે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. અનેક વાલીઓને શાળાઓ તરફથી મેસેજ મળ્યા હતા કે તેઓ તેમના બાળકોને વહેલા ઘરે લઈ જાય, જેના કારણે સ્કૂલો બહાર વાલીઓની ભીડ જામી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી: વાલીઓએ કહ્યું- બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા

Ahmedabad School Bomb Theat News Updates: અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલોને પગલે આજે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. અનેક વાલીઓને શાળાઓ તરફથી મેસેજ મળ્યા હતા કે તેઓ તેમના બાળકોને વહેલા ઘરે લઈ જાય, જેના કારણે સ્કૂલો બહાર વાલીઓની ભીડ જામી હતી.

વાલીઓના જણાવ્યા અનુસાર, તેમને સ્કૂલમાંથી મેસેજ અથવા ઑડિયો ક્લિપ મળી હતી જેમાં સ્કૂલમાં કોઈ સમસ્યા હોવાનું અથવા તકેદારીના ભાગરૂપે બાળકોને વહેલા છોડવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું. સાવચેતીના પગલે શાળાઓએ નિયત સમય કરતાં વહેલા રજા આપી દીધી હતી, જોકે રાહતના સમાચાર એ છે કે તમામ બાળકો સુરક્ષિત છે.

આ પણ વાંચો: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી, બાળકોને રજા અપાઈ, પોલીસ-ફાયર ઘટનાસ્થળે


આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરી છે. ઝોન 1ના ડીસીપી (DCP) હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, શહેરની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે નાગરિકોનો સહયોગ ખૂબ જ મહત્ત્વનો છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે, 'જો નાગરિકોને તેમની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિનવારસી કે શંકાસ્પદ વસ્તુ નજરે પડે, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તંત્રને જાણ કરવી.'

ડીસીપીએ જણાવ્યું હતું કે આવી માહિતી મળે તો નાગરિકોએ તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે નાગરિકો દ્વારા મળતી માહિતી પર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પ્રિન્સિપાલે વાલીઓને પેનિક ન થવા કરી અપીલ 

સ્કૂલના પ્રિન્સિપાલ દીપક ગૌતમ કુલકરના જણાવ્યા મુજબ, સવારે 9:28 કલાકે મળેલા આ ઈમેલમાં સાબરમતી સ્કૂલથી લઈને જેલ સુધીના વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોઈને સરખેજ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્કૂલ પર પહોંચી હતી અને સમગ્ર કેમ્પસમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢી સ્કૂલના ગાર્ડન એરિયામાં સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.

પ્રિન્સિપાલે વાલીઓને પેનિક ન થવા અપીલ કરી હતી અને વોટ્સએપ દ્વારા સતત અપડેટ આપ્યા હતા. તકેદારીના પગલે સ્કૂલના સમયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને નિયત સમય કરતાં એક કલાક વહેલા એટલે કે 11:30 અને 12:30 વાગ્યે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.


DAV સ્કૂલમાં એડમિશન માટે આવેલા વાલીને 'સેફ્ટી અને ઇમરજન્સી' કહી પરત મોકલાયા

અમદાવાદની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકના એડમિશન માટે આવેલા વાલી શ્રી દત્તને શાળા સંચાલકોએ સુરક્ષાના કારણોસર પરત મોકલ્યા હતા. વાલી શ્રી દત્તના જણાવ્યા મુજબ, તેમને સ્કૂલ તરફથી 12મી તારીખે ઈમેલ મળ્યો હતો અને આજે બુધવારે બપોરે 12:15 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા.

તેઓ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે ત્યાં ભીડ હતી અને પ્રિન્સિપાલે તેમને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે હાલ 'ઇમરજન્સી કન્ડિશન' છે અને બાળકની સેફ્ટી માટે સ્કૂલ વહેલી છોડી દેવામાં આવી છે. વાલીને એડમિશન પ્રક્રિયા માટે આવતીકાલે ફોન કરીને વિઝિટ કરવા જણાવાયું હતું. સ્કૂલમાં કંઈક અજુગતું હોવાની શંકા સાથે વાલીઓ મૂંઝવણમાં મૂકાયા હતા અને પરત ફર્યા હતા.

ઇમરજન્સી મેસેજ મળ્યો: વાલી

ઘટનાસ્થળે પહોંચેલા એક ચિંતિત વાલીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમને અચાનક ઇમરજન્સી મેસેજ મળ્યો હતો જેમાં 'બોમ્બ થ્રેટ'નો ઉલ્લેખ હતો. મેસેજ વાંચીને અમે ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બાળકોને લેવા દોડી આવ્યા છીએ. અંદર પોલીસ પણ આવી ગઈ છે, જોકે ચોક્કસ શું બન્યું છે તેની અમને કોઈ જાણ કરવામાં આવી નથી." હાલ પોલીસ દ્વારા સ્કૂલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને વાલીઓ પોતાના બાળકોને હેમખેમ ઘરે લઈ જઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓને એક કલાક વહેલા છોડી દીધા: વાલી

બીજી તરફ, આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પોતાના પૌત્ર નિવિતને લેવા આવેલા નલિનભાઈ દવેએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં બોમ્બની ધમકી અંગેના ઑડિયો મેસેજ વાયરલ થતાં શાળાએ વિદ્યાર્થીઓને નિયત સમય કરતાં એક કલાક વહેલા છોડી દીધા હતા. જોકે, તમામ બાળકો સુરક્ષિત હોવાની પણ તેમણે પુષ્ટિ કરી હતી.