Get The App

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે સાદાઈથી નીકળશે રથયાત્રા! જગન્નાથ મંદિર ટ્રસ્ટ લેશે નિર્ણય

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે સાદાઈથી નીકળશે રથયાત્રા! જગન્નાથ મંદિર ટ્રસ્ટ લેશે નિર્ણય 1 - image


Ahmedabad Jagannath Rath Yatra 2025 : આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે શક્યતાઓ છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'સાદગીપૂર્ણ રીતે રથયાત્રાના આયોજન અંગે રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજુ બેઠક યોજાઈ નથી. હાલમાં દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે. ટૂંક સમયમાં રથયાત્રાને લઈને રાજ્ય સરકાર સાથે બેઠક યોજ્યા બાદ રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન: શેત્રુંજી ડેમ છલોછલ, અમરેલીના 5 ડેમ પણ ઓવરફ્લો

હાલનો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે

સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.

1869થી અમદાવાદમાં રથયાત્રાની શરુઆત

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી. ભરુચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઈને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરુ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

Tags :