અમદાવાદ પ્લેન ક્રેશ: DNA પ્રોફાઈલિંગ દ્વારા મૃતદેહોની ઓળખ પ્રક્રિયા, જાણો શું હોય છે આ વૈજ્ઞાનિક પદ્ધતિ
AI Image |
Ahmedabad Plane Crash, DNA Knowing Process : અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના કરુણ મોત નીપજ્યા છે. દુર્ઘટના એટલી ભયાવહ હતી કે ઘણા મૃતદેહો એટલા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં, મૃતકોના પરિવારજનોને તેમના સ્વજનના પાર્થિવ દેહ સોંપવા માટે DNA પ્રોફાઈલિંગ અને મેચિંગની વૈજ્ઞાનિક પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે આવો જાણીએ શું હોય છે આ વૈજ્ઞાનિક પદ્ધતિ અને કેવી રીતે કરવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા.
DNA શું છે અને શા માટે DNA ટેસ્ટ જરૂરી છે?
DNA એટલે ડીઓક્સિરિબોન્યૂક્લિક એસિડ (Deoxyribonucleic acid). તે આપણા શરીરના લગભગ દરેક કોષમાં (લાલ રક્તકણો સિવાય) હાજર રહેલું આનુવંશિક કોડિંગ છે, જે દરેક જીવંત પ્રાણીની વૃદ્ધિ, વિકાસ અને કાર્ય માટેની માહિતી ધરાવે છે. દરેક વ્યક્તિનો DNA (જોડિયા સિવાય) અજોડ હોય છે, અને તે પેઢી દર પેઢી વારસામાં મળે છે. આ જ કારણોસર, જ્યારે મૃતદેહની ઓળખ શક્ય ન હોય, ત્યારે DNA ટેસ્ટ એ ઓળખ માટેનો સૌથી વિશ્વસનીય અને વૈજ્ઞાનિક પુરાવો બની રહે છે.
DNA પ્રોફાઈલિંગ અને મેચિંગની પ્રક્રિયા કેવી રીતે થાય છે?
![]() |
AI Image |
નમૂનાઓનું એકત્રીકરણ:
મૃતદેહમાંથી નમૂના: વિમાન દુર્ઘટના જેવા કિસ્સાઓમાં જ્યાં મૃતદેહો દાઝી ગયા હોય કે ક્ષતિગ્રસ્ત હોય, ત્યાં લોહી, માંસ કે અન્ય નરમ પેશીઓ ઉપલબ્ધ ન હોઈ શકે. આવા સંજોગોમાં, ફોરેન્સિક નિષ્ણાતો મૃતકના હાડકાં, દાંત અથવા અન્ય કોઈ પણ ઉપલબ્ધ જૈવિક અવશેષોમાંથી DNA કાઢવાનો પ્રયાસ કરે છે, કારણ કે હાડકાંમાં DNA લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે.
પરિવારજનોના નમૂના: મૃતકની ઓળખ માટે તેમના નજીકના સ્વજન (જેમ કે માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન) ના DNA નમૂના લેવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે તેમના મોંના અંદરના ભાગમાંથી લાળના કોષો, લોહી, કે વાળના મૂળમાંથી નમૂના લેવાય છે.
DNA એક્સ્ટ્રેક્શન: એકત્રિત કરેલા નમૂનાઓમાંથી DNAને અન્ય કોષીય ઘટકોથી અલગ કરવામાં આવે છે અને શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં 6-7 કલાક જેટલો સમય લાગી શકે છે.
ગુણવત્તા અને માત્રાની ચકાસણી: કાઢવામાં આવેલા DNAની ગુણવત્તા અને માત્રા તપાસવામાં આવે છે. જો DNA પૂરતા પ્રમાણમાં ન હોય અથવા ખરાબ ગુણવત્તાનો હોય, તો પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. આમાં 3-4 કલાક લાગે છે.
DNA સંવર્ધન: પોલીસ ચેઈન રિએક્શન (PCR) નામની ટેકનિકનો ઉપયોગ કરીને DNA ના ચોક્કસ ભાગોની લાખો નકલો તૈયાર કરવામાં આવે છે. આનાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં DNA ઉપલબ્ધ હોય તો પણ તેનું પૃથક્કરણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં પણ 3-4 કલાક લાગે છે.
![]() |
AI Image |
DNA પ્રોફાઈલિંગ: સંવર્ધન કરાયેલા DNAના ચોક્કસ આનુવંશિક માર્કર્સ જેને શોર્ટ ટેન્ડમ રીપિટ્સ - STRs કહેવાય છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ STRs દરેક વ્યક્તિમાં અલગ-અલગ લંબાઈના હોય છે, જે એક અજોડ ‘DNA ફિંગરપ્રિન્ટ‘ અથવા ‘DNA પ્રોફાઇલ’ બનાવે છે. આ પ્રક્રિયામાં 8-9 કલાકનો સમય લાગી શકે છે.
પ્રોફાઇલનું વિશ્લેષણ: પ્રાપ્ત થયેલી DNA પ્રોફાઇલનું કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે.
મેચિંગ: આ તબક્કે, મૃતદેહમાંથી મેળવેલી DNA પ્રોફાઇલને પરિવારજનોના DNA પ્રોફાઇલ સાથે સરખાવાય છે. જો 23 DNA એલિલ મેચ થાય, તો જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ થાય છે. પિતા-પુત્રના કિસ્સામાં 'Y' ક્રોમોઝોમનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે.
રિપોર્ટ અને ઓળખ: મેચિંગ પ્રક્રિયા સફળ થયા બાદ, સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે મૃતદેહની ઓળખની પુષ્ટિ થાય છે.
સમય અને પડકારો:
આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લે તેવી છે. ખાસ કરીને સામૂહિક દુર્ઘટનાઓમાં જ્યાં મૃતદેહોની હાલત ખરાબ હોય અને મોટી સંખ્યામાં નમૂનાઓનું પરીક્ષણ કરવાનું હોય, ત્યારે 36 થી 72 કલાકથી લઈને ઘણા દિવસોનો સમય લાગી શકે છે. અમદાવાદની આ દુર્ઘટનામાં પણ FSL અને NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) ના નિષ્ણાતો યુદ્ધના ધોરણે કાર્યરત છે, જેથી વહેલી તકે પરિવારોને તેમના સ્વજનોના દેહ સોંપી શકાય.