Get The App

Ahmedabad Plane Crash: ગર્ભમાં રહેલા શિશુથી માતાના મૃતદેહની ઓળખ થઈ, કુદરતના વ્રજઘાતથી તબીબ પરિવારનો માળો વિખેરાયો

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
Ahmedabad Plane Crash: ગર્ભમાં રહેલા શિશુથી માતાના મૃતદેહની ઓળખ થઈ, કુદરતના વ્રજઘાતથી તબીબ પરિવારનો માળો વિખેરાયો 1 - image


Ahmedabad Plane Crash: કાળજું કંપાવનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માનવજાતને હચમચાવી દીધી છે. હજારો સપનાઓને રાખ કરનારા આ હૃદયદ્રાવક ઘટનામાં કરૂણાંતિકા, કમનસીબી અને કઠોર કુદરતનો વજ્રઘાત એવો હતો કે, તળાજાના મહિલા તબીબનું મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહની ઓળખ ગર્ભમાં ઉછરી રહેલા શિશુએ કરાવ્યો હતો. માતાની સાથે ગર્ભમાં રહેલો જીવ પણ કુદરતના કહેરથી બચી શક્યો ન હતો. જેથી અમદાવાદ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા આપતા તબીબ અને તેમના પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

મૃતક ડો. કાજલબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા 

12મી જૂને બી.જે. મેડિકલ હોસ્ટેલ અને બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન જતું વિમાન પડ્યું હતું. જેમાં તળાજાના અંબિકાનગરમાં રહેતા ડો. કાજલબેન સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃતદેહની ઓળખ માટે પતિ ડો. પ્રદીપ સોલંકી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ભયાવહ ઘટનામાં પત્નીની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ મૃતક કાજલબેન સોલંકીના ગર્ભમાં રહેલા શિશુના કારણે તેની ઓળખ થઈ શકી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું, રહસ્ય ખુલશે

ઉલ્લેખનીય છે કે, ડો. કાજલબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે પતી પ્રદીપ સોલંકી સાથે અમદાવાદમાં રહેતા હતા. રવિવારે (15મી જૂન) હતભાગી ડો.કાજલબેન સોલંકીનો મૃતદેહ તળાજા લાવી બપોરે ત્રણ કલાકે તેમના નિવાસ સ્થાન અંબિકાનગરથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનો, પાડોશીઓ, ભાવનગરના સાંસદ, તળાજા ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો અને મુસ્લીમ આગોવાનો જોડાયા હતા.

Ahmedabad Plane Crash: ગર્ભમાં રહેલા શિશુથી માતાના મૃતદેહની ઓળખ થઈ, કુદરતના વ્રજઘાતથી તબીબ પરિવારનો માળો વિખેરાયો 2 - image



Tags :