અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 4000 કરોડનો આંકડો વટાવે તેવી શક્યતા
Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં વીમાની રકમના દાવાનો આંક ચાર હજાર કરોડ રૂપિયાને પાર પહોંચે તેવી સંભાવના છે. બોઈંગ 787-8 ડ્રીમલાઇનર જે ક્રેશ થયું હતું તેનાથી પણ પોલિસીની શરતોને આધીન વીમાની જવાબદારીનું ચુકવણું અઢી ગણું વધી શકે છે.
નોડલ ઓફિસરની નિમણૂંક કરવા ઈરડાનો નિર્દેશ
વીમા ક્ષેત્રના જાણકારોના અનુસાર, મુસાફરોની જવાબદારી હેઠળ પોલિસીની શરતોને આધીન વિમાની જવાબદારીનું ચુકવણું 125 મિલિયન ડોલરની આસપાસ હોઈ શકે છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી જવાબદારી, પર્સનલ એક્સિડેન્ટ અને ટ્રાવેલ પોલિસીને આવરી લેવામાં આવે તો તે 350 મિલિયન ડોલર થાય તેમ જણાય છે. એર ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા ફ્લાઈટ ઈન્સ્યોરન્સ તેમજ જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા મુસાફરો દ્વારા લેવામાં આવેલા પર્સનલ એક્સિડેન્ટ ક્લેઈમ પણ તેમાં આવરી લેવાય છે.
ઘણાં કેસમાં ક્રેડિટ કાર્ડ હોય તેવા મુસાફરો પણ પર્સનલ એક્સિડેન્ટ પોલિસી સામેલ કરવામાં આવતા હોય છે. ઘણી ભારતીય ક્રેડિટ કાર્ડ કંપનીઓ 20 લાખથી 2 કરોડ રૂપિયા સુધીનું ઈન્સ્યોરન્સ આપે છે. પ્રીમિયમ કાર્ડમાં 1 કરોડ રૂપિયાનું પર્સનલ એક્સિડેન્ટ કવર હોય છે, જ્યારે મિડ ટાયર કાર્ડ 20 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર આપે છે.
આ પણ વાંચો: આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન, 25 જૂને પરિણામ
વિદેશમાં સ્વાસ્થ્ય પાછળ ઊંચો ખર્ચ હોવાથી અનેક ભારતીયો વિદેશના ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ લે છે, જેમાં પર્સનલ એક્સિડેન્ટ કવર પણ આવી જાય છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં 278થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. બોઈંગ વિમાન જે ક્રેશ થયું તેની કિંમત અંદાજે 850 કરોડ રૂપિયા હતી. ધ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)એ વીમા કંપનીઓને ફાસ્ટ ટ્રેક ક્લેઇમ માટે નિર્દેશ જાહેર કર્યો છે. વીમા કંપનીઓએ ક્લેઈમ અંગે દર સપ્તાહે ઈરડાને અપટેડ આપતાં રહેવું પડશે. આ ઉપરાંત વીમા કંપનીઓને નોડલ ઓફિસરની નિયુક્તિ કરવા પણ સૂચના અપાઈ છે.
પતિ-પત્નીએ એકબીજાને નોમિનેટ કરેલા, હવે પ્લેન ક્રેશમાં બંનેના મૃત્યુથી વીમા કંપનીને ગૂંચવણ
ઈરડા દ્વારા પ્લેન ક્રેશના મૃતકોના સ્વજનોને વીમાની રકમ તાકીદે ચૂકવવા આદેશ કરાયો છે. પરંતુ વીમા કંપનીઓ માટે સમગ્ર પ્રક્રિયા જટીલ થઈ ગઈ છે. કારણ કે ઘણાં કિસ્સામાં આખા પરિવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે તો કેટલાક કિસ્સામાં પતિ-પત્નીએ એકબીજાને ઈન્સ્યોરન્સ માટે નોમિનેટ કરેલા હતા અને હવે બંનેના ક્રેશમાં મૃત્યુ થયા છે. આ સ્થિતિમાં વીમાની રકમનું ચૂકવણું કેવી રીતે કરવી તે પ્રક્રિયા પેચિંદી બની છે.