અમદાવાદ પ્લેન ક્રેશ: વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા હેલ્પડેસ્ક શરૂ, નોડલ અધિકારીઓની નિમણૂક
Ahmedabad Plane Crash: અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા-દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે.
વીમા-દાવાની રકમ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તોને વીમાના દાવાની પ્રક્રિયા કરવામાં કરવામાં સરળતા રહે તે માટે IRDAIના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપી હતી. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઈન્શ્યોરર નીમવામાં આવી છે.
પીડિત પરિવારોને જરૂરી માર્ગદર્શનની વ્યવસ્થા
જિલ્લા તંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ તેમજ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અને LICના હેલ્પ ડેસ્ક ઊભા કરાયા છે. આ હેલ્પ ડેસ્ક પર દુર્ઘટનામાં પીડિત પરિવારોને જરૂરી માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ માટે સંબંધિત ઈન્શ્યોરન્સ કંપનીના 250થી વધુ નોડલ ઓફિસર અને આસિસ્ટન્ટ દ્વારા માહિતી અપાઈ રહી છે. આ કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે. આ સિવાય સ્થાનિક નોડલ ઓફિસરો અન્ય રાજ્યના મૃતકોના નોડલ ઓફિસરના પણ સતત સંપર્કમાં રહીને જરૂરી કામ પૂરું કરી રહ્યા છે.
અધિકારીઓ અંત્યેષ્ઠિ સુધીની કામગીરીમાં મદદરૂપ થશે
આ સ્ટાફમાં નિમાયેલા અધિકારીઓ મૃતક મુસાફરોના પરિવારજનોના સંપર્કમાં તો રહેશે જ. એ સિવાય અંત્યેષ્ઠિ સુધીની કામગીરીમાં પણ મદદરૂપ થશે અને તમામ તબક્કે ખભે ખભો મિલાવીને ઊભા રહેશે. આ પ્રક્રિયામાં ડીએનએ સેમ્પલની કામગીરી, ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહની સોંપણી, ત્યાર બાદ અંતિમ ક્રિયા માટે પરિવારજનો કહે તે સ્થળ સુધી પોલીસ એસ્કોર્ટિંગ સાથે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ પહોંચાડવાની પ્રક્રિયા પણ સામેલ છે. આ અધિકારીઓ જરૂરી દસ્તાવેજીકરણની સાથે મૃતદેહ પરથી રિકવર ચીજવસ્તુઓ પરિવારજનોને સોંપવાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
એર ઈન્ડિયાની ટીમ પણ ખડેપગે
એર ઈન્ડિયાની ટીમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે 24x7 ઉપલબ્ધ છે. જેમ જેમ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો આવી રહ્યાં છે, તેમ તેમ તેઓની જરૂરિયાત મુજબની એર ટિકિટની વ્યવસ્થા વિનામૂલ્યે કરાઈ રહી છે. આ પરિવારજનોને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્યના માર્ગ મકાન વિભાગે રહેવાની અને વાહનવ્યવહારની વ્યવસ્થા પણ કરી છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકારે શરૂ કરેલી વિવિધ હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમને અત્યાર સુધી લગભગ 1700 ફોન કોલ્સ મળ્યાં છે, તે અન્વયે યોગ્ય સંકલનની કાર્યવાહી કરાઈ છે.