અમદાવાદ પ્લેન ક્રેશઃ 62 DNA મેચ થયા, 35 મૃતદેહો પરિવારને સોંપાયા, ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ કાર્યરત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી 25 મૃતદેહો તેમના પરિવારનો સોંપાયા છે. ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે. બીજી તરફ, મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા-દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે.
પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતદેહો બળી ગયા હતા. આ કારણસર મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગનું કામ શરૂ કરાયું છે. આ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચિંગની કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સગા સાથે સંકલન કરીને કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે.
અત્યાર સુધી 62 મૃતદેહના ડીએનએ મેચ થયા
હાલ મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગા-સંબંધીના કુલ 250 બ્લડ સેમ્પલ લેવાયા છે, જે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી ડીએનએ મેચ કરીને 35 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગા-સંબંધીના સેમ્પલ લેવાના બાકી છે કારણ કે, તેઓ યુ.કે.માં રહે છે. તેઓ આગામી બે-ત્રણ દિવસમાં સેમ્પલ આપવા આવશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટના: FSLના નિષ્ણાતોનું અદમ્ય સમર્પણ, અંગત મુશ્કેલીઓ છતાં DNA પરીક્ષણમાં દિવસ-રાત ખડે પગે
આ સમગ્ર કામમાં આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારી સહિત 855થી વધુ હેલ્થ સ્ટાફને રાહત-બચાવ કાર્યમાં જોડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે આ મેનપાવર કાર્યરત કરાયો છે.









