ગાંધીનગર FSLમાં પિતા-પુત્રની ખાતરી કરવા 'રૂ' ક્રોમોઝોમનું ટેસ્ટિંગ, નિષ્ણાતોની 12 ટીમ તહેનાત
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ કરુણાંતિકામાં મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની છે, ત્યારે ડીએનએ પ્રોફાઈલ-મેચિંગ કરવામાં આવી રહ્યું છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારે મૃતદેહોની ઓળખ કરાઈ છે. મહત્ત્વની વાત એ છે કે, જો પિતા-પુત્રના મૃતદેહની ઓળખ કરવી હોય તો 'રૂ' ક્રોમોઝામનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ડિરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો અને અધિકારીઓની 12 ટીમ ડીએનએમ મેચિંગ માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યાં છે. ડીએનએ પ્રોફાઈલિંગ અને મેચિંગની પ્રક્રિયા વધુ ચોકસાઈપૂર્વક કરવામાં આવી રહી છે, જેથી મૃતકોની ઓળખમાં ગોટાળો થાય નહીં.
ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા શું છે?
વિમાની દુર્ઘટનામાં 278 લોકોના મોત નીપજ્યાં છે. મૃતદેહોની અવસ્થા એવી છે કે, ઓળખ થઈ શકે તેમ નથી ત્યારે એફએસએલના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. ગાંધીનગર એફએસએલના ડિરેક્ટર એચ.પી.સંઘવીએ ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા અંગે જણાવ્યું કે, 'મુખ્યત્ત્વે બે પદ્ધતિથી ડીએનએના સેમ્પલ લેવામાં આવે છે. લોહીનું સેમ્પલ લઈને ડીએનએ મેચિંગ કરાય છે જે સરળ પ્રક્રિયા છે. જ્યારે મૃતકના અંગ અવશેષના સેમ્પલ લઈને પ્રોફાઈલ તૈયાર કરાય છે, જે જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી પ્રક્રિયા છે. મૃતકના અવશેષને ચીવટતાથી સાફ કરાઈ જેથી બાહ્ય અશુદ્ધિ રહે નહીં.'
ગાંધીનગર એફએસએલના ડિરેક્ટર એચ.પી.સંઘવીએ જણાવ્યું હતું કે, 'જો હાડકા અને દાંતનું સેમ્પલ હોય તો નાના નાના ટુકડા કરી પાવડર કરાઈ છે. ત્યારબાદ ખાસ મશીનમાં ચોક્કસ તાપમાને ડીએનએ આઇસોલેટ કરવામાં આવે છે. આ આઈસોલેટ ડીએનએને એક મશીનમાં ગુણવત્તા અને જથ્થો તપાસે છે. જો ડીએનએ યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ નકલ તૈયાર કરાઈ છે. જેમાંથી ડીએનએની બંને સ્ટ્રેનને અલગ અલગ કરવામાં આવે છે. આ સ્ટ્રેનને સિક્વન્સીયર મશીન મૂકાય છે તેના પરથી ડીએનએ પ્રોફાઈલ મળે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ તથા સમય માંગી લે તેવી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પાર્થિવ દેહ સોંપતી વખતે હૃદયદ્રાવક વિલાપના દૃશ્યો સર્જાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ સમગ્ર પ્રક્રિયા બાદ પણ જો પૂરતી માત્રામાં ડીએનએના સેમ્પલ ન મળ્યા હોય તો સમગ્ર પ્રક્રિયા પુનઃ કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થયેલા ડીએનએના સેમ્પલને મૃતકોના પરિવારજનોના ડીએનએના સેમ્પલ સાથે સરખાવવામાં આવે છે. જો 23 ડીએનએ સેમ્પલ મેચ થાય ત્યારે જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ થાય છે. આ ઉપરાંત પિતા-પુત્રની ખાતરી કરવી હોય તો 'રૂ' ક્રોમોઝોમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આમ, ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરી ખૂબ જ ટૂંકા ગાળામાં મોટા ભાગના મૃતકો અને તેમના પરિવારજનો સાથેની ઓળખ પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે.'
મૃતકના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાય છે
મૃતકની ઓળખ કરવા માટે પરિવારના સભ્યના લોહીના સેમ્પલ લેવાય છે તે આધારે મૃતદેહની ઓળખ કરવામાં આવે છે. જેમકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ કરવામાં માટે તેમના બહેનના સેમ્પલ લેવાયાં હતાં. તે આધારે દિવંગત વિજય રૂપાણીના ડીએનએનું મેચિંગ કરાયું હતું. ડીએનએ રિપોર્ટ આધારે મૃતદેહની ઓળખ થઈ હતી. ડીએનએ મેચિગ અને પ્રોફાઈલિંગ માટે સ્વજનોના સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
મૃતદેહની ઓળખથી માંડીને સોંપવા માટે અલાયદી ટીમ બનાવાઈ
મૃતદેહની ઓળખ કરીને પરિવારજનોને સોંપવાની આખીય પ્રક્રિયા માટે સિવિલ હોસ્પિટલમાં એક અલાયદી ટીમ બનાવાઈ છે. આ ટીમમાં આરોગ્ય વિભાગના અધિકારી, પોલીસ કર્મચારી અને પ્રોફેશનલ કાઉન્સિલનો સમાવેશ કરાયો છે. મૃતદેહો સોંપતી વખતે મૃત્યુ પ્રમાણપત્રથી માંડીને પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડીએનએ મેચિંગ રિપોર્ટ ઉપરાંત ઘરેણા માલસામાન પર સોંપવામાં આવી રહ્યો છે.