અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે, પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બ્રિટનમાં રહેતા પરિજનો હવે એર ઇન્ડિયા અને બોઇંગ સામે યુકેની કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે. બ્રિટનમાં રહેતા પીડિત પરિવાર લંડનની કીસ્ટોન લૉ નામની કાયદાની ફર્મ સાથે વાતચીત કરી રહ્યા છે, જેથી સંભવિત કેસ દાખલ કરવામાં આવી શકે.
પરિવારો સાથે બેઠકમાં થશે કાયદાકીય ચર્ચા
આ કેસમાં મુખ્યરૂપે વળતરની રકમ વધારવાની માંગ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, આ કીસ્ટોન લૉ ફર્મ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારને સલાહ આપવાની પ્રક્રિયામાં છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ખાડાએ વૃદ્ધનો જીવ લીધોઃ છેલ્લાં એક અઠવાડિયામાં તંત્રના પાપે 4 લોકોના મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુકેમાં રહેતા અનેક પરિવારો સાથે બેઠક નક્કી કરવામાં આવી છે, જેમાં કાયદાકીય વ્યૂહનીતિ પર વિચાર કરવામાં આવશે. આ બેઠક બાદ આગલી કાર્યવાહીને લઈને કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તપાસ કરશે ફર્મ
કીસ્ટોન લૉ ફર્મ પાસેથી મળતી માહિતી મુજબ, 'અમે એર ઇન્ડિયાની મુખ્ય ઉડ્ડયન વીમા કંપની ટાટા AIG તરફથી હાલમાં કરવામાં આવેલી નાણાંકીય સેટલમેન્ટના ઓફરની સમીક્ષા કરી રહ્યા છીએ. આ સાથે જ અમે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એર ઇન્ડિયાની એ જવાબદારી વિશે પણ તપાસ કરી રહ્યા છીએ, જે હેઠળ તેમણે પીડિત પરિવારોને અગાઉથી ચુકવણી કરવાની રહેશે.'