અમદાવાદ વિમાન દુર્ઘટના: 259 મૃતદેહોની ઓળખ થઈ, 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સિવિલ હૉસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, આજે સોમવારે (23 જૂન) 253 મૃતકોના DNA મેચ થયા છે, ત્યારે કુલ 259 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી 256 મૃતદેહો પરિવારને સોંપાયા છે.
259 મૃતકોની ઓળખ થઈ
સિવિલ હૉસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે 259 મૃતકોની ઓળખ થઈ છે, ત્યારે મૃતકોમાં 180 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 256 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને 3 બ્રિટિશ નાગરિકના મૃતદેહો આગામી સમયમાં નિયત ફ્લાઇટમાં મોકલવામાં આવશે. 256 પાર્થિવ દેહમાંથી 28 હવાઇ માર્ગે અને 228 રોડ માર્ગે મોકલવામાં આવ્યા છે. 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર મળીને કુલ 253 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. જ્યારે કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.
256 પાર્થિવ દેહો સ્વજનોને સોંપાયા
મૃતકોના પાર્થિવ દેહ સોંપાયા તેને લઈને ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, ઉદયપુરના 7, વડોદરાના 24, ખેડાના 11, અમદાવાદના 73, મહેસાણાના 7, બોટાદના 1, જોધપુરના 1, અરવલ્લીના 2, આણંદના 29, ભરુચના 7, સુરતના 12, પાલનપુરના 1, ગાંધીનગરના 7, મહારાષ્ટ્રના 13, દીવના 14, જૂનાગઢના 1, અમરેલીના 2, ગીર સોમનાથના 5, મહીસાગરના 1, ભાવનગરના 3, લંડનના 10, પટનાના 1, રાજકોટના 3, રાજસ્થાનના 2, નડિયાદના 1, બનાસકાંઠાના 2, જામનગરના 2, પાટણના 4, દ્વારકાના 2, સાબરકાંઠાના 1, નાગાલૅન્ડના 1, મોડાસાના 1, ખંભાતના 2, મણિપુરના 1, કેરળના 1 અને મધ્યપ્રદેશના 1 એમ કુલ 256 પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.