VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ: પિતા ગુમાવનારી લંડનની બે દીકરી માટે 8 દિવસમાં ₹7.87 કરોડથી વધુનું ફંડ એકત્ર
Crowdfunding for Arjun Patolia's daughters : અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો પણ હૃદય હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈનું 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે, ત્યારે દેશ અને દુનિયાના લોકો બંને દીકરીની વ્હારે આવ્યા છે. લંડનમાં જે જગ્યાએ અર્જુનભાઈ નોકરી કરતાં હતા તે ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સ લિમિટેડ કંપની વિનોદ ખીમજી નામની વ્યક્તિએ બંને દીકરીને ભવિષ્ય તમામ પ્રકારની જરૂરી સુવિધા મળી રહે તે માટે gofundme નામના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર એક કેમ્પેઇન શરૂ કર્યું છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી અત્યાર સુધી 15 હજારથી વધુ લોકો રૂ. 7.87 કરોડથી વધુનું દાન કરી ચૂક્યા છે.
ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સ લિમિટેડના વિનોદ ખીમજી દ્વારા 15 જૂન, 2025ના રોજ gofundme નામના ક્રાઉડફંડિંગ (Crowdfunding) પ્લેટફોર્મ પર કેમ્પેઇન શરૂ કરાયું હતું. વિનોદ ખીમજીએ જણાવ્યું હતું કે, અર્જુન ઇન્સ્પાયર્ડ એલિમેન્ટ્સમાં અર્જુન પટોળિયા અમારી ટીમના મૂલ્યવાન સભ્ય હતા. ઘણાં વર્ષોથી તેઓ અમારા પારિવારિક મિત્ર પણ હતા. મારા દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આ બંને બાળકીને પાયાની સુવિધા પ્રદાન કરવાનો છે. અહીં એકત્ર થતું ફંડ બંને દીકરીના ભવિષ્યના વાલીઓને અપાશે.'
8 દિવસમાં ₹7.87 કરોડથી વધુનું ફંડ ભેગુ થયું
અર્જુનભાઈ પટોળિયા અને તેમની પત્નીના નિધન બાદ લંડનમાં તેમની બંને દીકરી મા-બાપ વિના નિરાધાર બની ગઈ છે, ત્યારે દુનિયાભરના લોકોએ બંને બાળકોને લઈને શરૂ કરાયેલા ક્રાઉડફંડિંગ કેમ્પિંગમાં પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યાં છે. આ કેમ્પેઇન હેઠળ 23 જૂન સુધી એટલે કે માત્ર 8 જ દિવસમાં 677,888 પાઉન્ડ એટલે કે ભારતની કિંમત પ્રમાણે રૂ.7.87 કરોડથી વધુનું ફંડ ભેગું થઈ ગયું છે. જેમાં લોકોએ 50થી 10000 પાઉન્ડ સુધીનું દાન કર્યું છે. આ દુઃખદ ઘટનાને લઈને અનેક લોકો ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે. અર્જુનભાઈ પટોળિયાની બંને દીકરીઓ માટે શરુ કરાયેલા ક્રાઉડફંડિંગ કેમ્પેઇનની લિંક (gofundme.com) પર કોઈ પણ વ્યક્તિ દાન કરી શકે છે.
પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી પરત ફરતા હતા
મળતી માહિતી મુજબ, અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું 26 મે, 2025ના રોજ લંડનમાં અવસાન થયું હતું. ભારતીબેનની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અસ્થિ ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જિત કરવામાં આવે. પત્નીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનભાઈ લંડનથી ભારત આવ્યા હતા. તેઓ ફૂલોથી સજાવેલા કળશમાં પત્નીની અસ્થિ લઈને ગામ પહોંચ્યા હતા. અહીં, 2 જૂન, 2025ના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને અર્જુનભાઈએ પરિવારજનો સાથે સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની અસ્થિઓનું પૈતૃક ગામના તળાવમાં વિસર્જન કરી અંતિમવિધિ સંપન્ન કરી હતી.
આ દરમિયાન 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અર્જુનભાઈનું મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના DNA મેચ થયા બાદ તેમનો મૃતદેહ વડિયા લાવવામાં આવ્યો હતો અને 16 જૂન શરૂ વરસાદે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. લંડનમાં તેમની બે માસૂમ દીકરી તેમની રાહ જોઈ રહી હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું.
ક્રાઉડ ફંડિંગ એટલે શું?
ક્રાઉડફંડિંગ એટલે કે જેમાં જનતા દ્વારા તમને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. વિવિધ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર મેડિકલ, શિક્ષણ કે અન્ય અલગ-અલગ ક્ષેત્રે કોઈપણ સામાન્ય વ્યક્તિ કેમ્પેઇન શરૂ કરીને મદદ મેળવી શકે છે. કોઈ પણ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર શરૂ કરાયેલા કેમ્પેઇનને વિવિધ સોશિયલ મીડિયા પર શેર કરીને દાનની અપીલ કરી શકાય છે. બાદમાં આ ફંડને જે-તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રકારના અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, જે દરેકમાં જુદી જુદી સુવિધા જોવા મળે છે.