અમદાવાદ પ્લેન ક્રેશ : ‘Mayday Call...’ પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલોટે આપ્યું હતું સિગ્નલ
Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઑફ થયાની બે મિનિટમાં ક્રેશ થઈ ગઈ છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. ફ્લાઇટના પાયલોટે ક્રેશ થયાની ઠીક પહેલા એટીસીને ખતરાનું સિગ્નલ આપ્યું હતું અને આ સિગ્નલની બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું.
સુમિતને 8200, ક્લાઈવને 1100 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ
ડીસીજીએ દ્વારા વિમાન દુર્ઘટના અંગે માહિતી અપાઈ છે. 12 જૂન-2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન B787 અમદાવાદથી ગૈટવિક (AI-171) જઈ રહ્યું હતું, જોકે પ્લેન ટેક ઑફ થતાંની સાથે બે મિનિટમાં ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા. ક્રેશ થયેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ કૅપ્ટન સુમિત સાભરવાલ ચલાવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે ફર્સ્ટ ઑફિસર ક્લાઇવ કુંદર હતા. સુમિતને 8200 કલાક ફ્લાઇટ ચલાવવાનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાકનો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
પાયલોટે એટીસીને સિગ્નલ મોકલ્યું
સૌથી મહત્ત્વની માહિતી એ સામે આવી છે કે, વિમાન અમદાવાદ ઍરપોર્ટના રન-વે 23 પરથી બપોરે 1.39 કલાકે ટેક ઑફ થયું હતું. ટેક ઑફ થતાં જ ફ્લાઇટના પાયલોટે એટીસીને મેડે કૉલ કર્યો હતો. જોકે ત્યારબાદ પાયલોટ દ્વારા એટીસીને કોઈ સિગ્નલ ન મળ્યું. ટેક ઑફની થોડીક જ સેકન્ડોમાં વિમાન ઍરપોર્ટ પરિસરની બહાર ક્રેશ થઈ ગયું.
MAYDAY કૉલ શું હોય છે?
કોઈપણ ફ્લાઇટમાં ‘મેડે કૉલ’ (Mayday Call) એક ઈમરજન્સી મેસેજ હોય છે. જ્યારે પાયલોટ કોઈ ગંભીર સંકટમાં હોય છે અને મુસાફરોના જીવ જોખમમાં હોય છે, ત્યારે પાયલોટ ‘મેડે કૉલ’ મેસેજ મોકલે છે. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, આકાશમાં ટક્કરનો ખતરો અથવા હાઇજેક જેવી સ્થિતિ વખતે પાયલોટ આ મેસેજ મોકલતા હોય છે. પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના ઍરપોર્ટને ફ્લાઇટને તુરંત મદદની જરૂર હોવા માટે ઍલર્ટ કરે છે. મેડે કૉલ આવતાં જ જે-તે કંટ્રોલરૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તમામ સંસાધનોને મદદમાં લગાવી દે છે, જેમ કે ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી, રનવે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તહેનાત રાખવા... મહત્ત્વની વાત એ છએ કે, જ્યારે સ્થિતિ વધુ ગંભીર ન હોય, પરંતુ ચિંતા જેવી હોય તો પાયલોટ પૈન-પૈન કૉલ કરે છે, જે મેડેથી ઓછી ગંભીર માનવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO