Ahmedabad News: હાલ કમુરતા પહેલા લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં લગ્ન પ્રસંગની અજુગતી ઘટના સામે આવી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારનો યુવક લગ્નના આગળના દિવસે ભેદી સંજોગોમાં ઘરેથી લાપતા થતા લગ્ન મોકુફ રાખવાનો વારો આવ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા મુંબઈમાં વરરાજા યુવકનું લોકેશન મળી આવ્યું હતું. પોલીસ મુંબઈની હોટલમાં પહોંચી ત્યારે યુવક જીવન ટુકાવવાનો પ્રત્યન કરતો હતો.
'તપાસ કરતાં એક દોરી પણ મળી આવી'
ઈસનપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મુંબઈની એક હોટલમાંથી ગુમ યુવક મળ્યો હતો, હોટલ રુમની તપાસ કરતાં એક દોરી પણ મળી આવી હતી. જે બાદમાં મુંબઈ લોકલ પોલીસની મદદ લઈ અહીંથી ગયેલી ટીમે પહેલા યુવકની યોગ્ય સારવાર કરાવી હતી. બાદમાં યુવકને મુંબઈથી અમદાવાદ પરત લાવી ટૂંકી પૂછપરછ બાદ પરિવારજનોને સોંપ્યો હતો.
લોકેશન કેવી રીતે મળ્યું?
પોલીસે વરરાજા યુવકની પૂછપરછ કરી હતી કે કેમ લગ્નનો છોડી ભાગ્યો ત્યારે વરરાજાએ કહ્યું કે લગ્ન નહીં કરવા પાછળ કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ નથી. પોલીસે એ પણ જણાવ્યું કે વરરાજા યુવકે મુંબઈની હોટલમાં પોતાની નસ કાપી હતી. અને તેની સારવાર માટે બિલ ચૂકવ્યું હતું. જેના પરથી લોકેશનની માહિતી મળી હતી.
શું છે ઘટના?
શહેરના ઇસનપુરમાં રહેતા વેપારીના પુત્રના લગ્ન શુક્રવારે હતા. જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને મોટાભાગના મહેમાન આવી ગયા હતા. પરંતુ, ગુરૂવારે સવારે આશરે 11 વાગે યુવક ઘરેથી થોડીવારમાં આવવાનું કહીને નીકળી ગયો હતો. એક કલાક બાદ પણ પરત ન આવતા પરિવારે ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. જેથી સાંજ સુધી તપાસ કર્યા બાદ પણ કોઈ કડી ન મળતા ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે મોબાઈલ લોકેશન તપાસ કરતા યુવક મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગુરૂવારે મોડી સાંજે યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારને જાણ કરીને અંતે લગ્ન મોકુકની જાહેરાતને તમામને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. શુક્રવારે લગ્ન બાદ શનિવારે રિસેપ્શનનું પણ આયોજન કરાયું હતું. હાલ પોલીસે યુવકને પરિવારજનને સોંપી દીધો છે. અને યોગ્ય મદદની ખાતરી આપી હતી.


