Get The App

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપયોગ કર્યો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
Ahmedabad Fraud

Ahmedabad Finance Fraud: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 'એમ પી ગ્રુપ ઓફ કંપનીઝ'ના નામે ઑફિસ ધરાવતા મિહીર પરીખ અને તેના ભાગીદારોએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. તેઓએ આંબાવાડીના એક વેપારીને મોતીલાલ ઓસવાલ કંપનીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા અને તેમની પાસેથી 5 કરોડથી વધુનું રોકાણ કરાવીને તે નાણાં બારોબાર હડપ કરી લીધા હતા. આ મામલે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ શેરબજારમાં રોકાણના બહાને અન્ય અનેક લોકો સાથે પણ કરોડો રૂપિયાનું નાણાકીય કૌભાંડ આચર્યું છે.

શેરબજારમાં કમાણીની લાલચે પરિવારના નામે 5.30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ

આંબાવાડીના રહેવાસી અને વટવા GIDC માં મશીનરીનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઈ પટેલ તેમની લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ મિહીર પરીખના પરિચયમાં આવ્યા હતા. મિહીર પરીખે પોતાની કંપની 'એમ પી ફિનકોર્પ'નું મોતીલાલ ઓસવાલ સાથે ટાઇઅપ હોવાનું જણાવી મહેન્દ્રભાઈને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેના પર વિશ્વાસ રાખીને મહેન્દ્રભાઈએ પોતાના પરિવારના સભ્યોના નામે અલગ-અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા અને અંદાજે 5.30 કરોડ રૂપિયાનું મોટું રોકાણ મિહીરની કંપનીમાં કર્યું હતું.

આ પણ વાંચો: સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 'પ્રોજેક્ટ', બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કોંગ્રેસનો સવાલ

આંબાવાડી સ્થિત ઑફિસમાં તપાસ કરતા શેરની લે-વેચનો ભાંડો ફૂટ્યો

મિહીર પરીખે મહેન્દ્રભાઈને ખાતરી આપી હતી કે તેમના ડીમેટ એકાઉન્ટ મોતીલાલ ઓસવાલમાં જ છે, પણ વ્યવહારો 'એમ પી ફિનકોર્પ'ની એપમાં દેખાશે. જ્યારે મહેન્દ્રભાઈએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે મિહીરે બે-ત્રણ દિવસમાં આપી દેવાનો વાયદો કર્યો, પરંતુ લાંબા સમય પછી માત્ર ૨.૭૨ કરોડ રૂપિયા જ પરત કર્યા. બાકીના પૈસા ન મળતા મહેન્દ્રભાઈએ મોતીલાલ ઓસવાલની ઑફિસમાં તપાસ કરી, ત્યારે ખબર પડી કે તેમની કંપની દ્વારા કોઈ રોકાણ કે શેરની લે-વેચ થઈ જ નથી અને તેમની સાથે છેતરપિંડી થઈ છે.

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપયોગ કર્યો 2 - image