સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar Death Case Solved: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે મોતના નામે ફાઇલ થયેલા એક રહસ્યમય કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરની કેનાલમાંથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અકસ્માત નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
કેનાલમાંથી મળ્યો હતો ધ્રાંગધ્રાના યુવકનો મૃતદેહ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરની એક કેનાલમાંથી અગાઉ મળી આવેલા અજાણ્યા શખસના મૃતદેહ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ ધ્રાંગધ્રાના સોલડી ગામના વતની શાંતિગીરી ગોસ્વામીનો હતો. આ ઘટસ્ફોટ બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને રવિવારે (17મી મે) મૃતકની પત્ની જાગૃતિબહેન ગોસ્વામી અને તેના પ્રેમી કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયાની ધરપકડ કરી લીધી છે.
કાવતરું, હત્યા અને ગુમ થયાની અફવા
પોલીસ પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક શાંતિગીરીની પત્ની જાગૃતિબહેનને કાંતિલાલ ઉર્ફે ભરત સાથે છેલ્લા ઘણાં સમયથી પ્રેમસંબંધ હતો. ઘરમાં થતા સતત ઝઘડા અને અંગત અદાવતને કારણે જાગૃતિબહેન અને કાંતિલાલે શાંતિગીરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
કાવતરા મુજબ આરોપીઓએ શાંતિગીરીની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. આ ગુનામાં કાંતિલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોઈને શંકા ન જાય તે માટે પત્ની જાગૃતિએ આસપાસ એવી અફવા ફેલાવી દીધી કે શાંતિગીરી પોતાની મરજીથી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. આ જ કારણે તેમણે પોલીસમાં ગુમ થયાની કોઈ ફરિયાદ પણ નોંધાવી ન હતી.
દોઢ વર્ષ પહેલાં પણ આપી હતી હત્યાની 'સોપારી'
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક અન્ય અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જાગૃતિબહેને પોતાના પતિની હત્યા કરવાનો પ્રયાસ આ પહેલીવાર નહોતો કર્યો. આશરે દોઢ વર્ષ પહેલાં પણ જાગૃતિબહેને ડીસાના યુનુસ મેમણ નામના શખસને પતિની હત્યા કરવા માટે સોપારી આપી હતી. જો કે, યુનુસ મેમણ એ શાંતિગીરીનો મિત્ર હોવાથી તેણે શાંતિગીરી જીવ જોખમમાં હોવાની ચેતવણી આપીને સમજાવ્યો હતો. પરંતુ યુનુસે જાગૃતિ પાસેથી પૈસા પડાવવા માટે એક ચાલ ચાલી હતી. તેણે શાંતિગીરી સૂતો હોય તેવો ફોટો પાડીને જાગૃતિને મોકલ્યો અને મેસેજ કર્યો કે 'કામ પૂરું થઈ ગયું છે'. આ બદલામાં યુનુસે ધ્રાંગધ્રાના સોલડી ગામે આવીને જાગૃતિ પાસેથી 25 હજાર રૂપિયા પણ વસૂલી લીધા હતા. બાદમાં જ્યારે જાગૃતિને ખબર પડી કે તેનો પતિ જીવતો છે, ત્યારે તે હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.
હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી, ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને કડીઓ મેળવવા માટે વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.








