રથયાત્રા પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, વેપારીઓમાં ફફડાટ
Crime Branch Raid in Ahmedabad : આગામી 27 જૂને યોજાનારી રથયાત્રાના પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે આજે બુધવારે રિલીફ રોડ પરના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ માર્કેટ મોબાઇલ ફોન, સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ગેજેટ્સના વેચાણ માટે જાણીતું છે. અહીં ઘણીવાર દસ્તાવેજો વિના સીમ કાર્ડ અને બીલ વગર મોબાઇલનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 10 જેટલા વેપારીઓની પૂછપરછ કરી હતી.
રથયાત્રા પૂર્વે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે. આ સર્ચ ઓપરેશન માત્ર ઇલેક્ટ્રોનિક સામાનના અનધિકૃત વેચાણ પર જ નહીં, પરંતુ ગેરયકાયદે સીમકાર્ડના વેચાણ પર કેન્દ્રિત છે. સીમકાર્ડના વેચાણ માટે આધાર પુરાવા અને વેરિફિકેશન ફરજિયાત છે.
ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ગેરકાયદે સીમ કાર્ડના વેચાણ સાથે સંકળાયેલા નેટવર્કને તોડી પાડવાનો છે. ક્રાઇમ બ્રાંચની રેડના લીધે વેપારીઓ ગેરકાયદે સીમકાર્ડ વેચતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ પણ વાંચો: હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર મારામારી, ટ્રક ડ્રાઇવરને માર મારતાં દોઢ કલાકથી ચક્કાજામ, વાહનોની લાંબી કતાર લાગી
ક્રાઇમ બ્રાંચની ટીમો આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં બિલ, ખરીદ-વેચાણના રૅકોર્ડ્સ અને સીમ કાર્ડની તપાસ કરી રહી છે. આ રેડનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓને શોધી કાઢવાનો અને કાળા બજારી અટકાવવાનો છે. રથયાત્રા જેવા જાહેર મેળાવડામાં કોમ્યુનિકેશન માટે વપરાતાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો દુરુપયોગ અટકાવવાનો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઓપરેશનનો એક મુખ્ય હેતુ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળના વ્યક્તિઓને શોધી કાઢવાનો છે, સાથે જ જાહેર મેળાવડા પહેલાં અનિયંત્રિત ઉપકરણો કે સંચાર માધ્યમોના સંભવિત દુરુપયોગને અટકાવવાનો પણ છે.
દર વર્ષે યોજાનારી રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે. ત્યારે જનતાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. ત્યારે સંભવિત જોખમને અટકાવવા અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થાય તેવી આશા છે. જોકે દરોડા અને ધરપકડની વિગતો ઓપરેશન બાદ જાહેર કરવામાં આવશે.