ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 1,000 જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને લઈને રહીશો હવે પાયમાલ થવાના ડરે વિરોધ કરી રહ્યા છે.
ચૂંટણી ટાણે જ કેમ છેડાયો વિવાદ?
આગામી 26 એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન યોજાવાનું છે. આ મહત્વની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ કપાતનો મુદ્દો ઉછળતા સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રહીશોનો આરોપ છે કે, તેઓ નગર પંચાયતના સમયથી અહીં વસવાટ કરે છે, અને હવે અચાનક તેમના ઘર છીનવવાની તૈયારી થઈ રહી છે.
સીમાંકનની કામગીરી પૂર્ણ, રહીશોમાં ફફડાટ
કોર્પોરેશન દ્વારા આર્યસમાજ રોડ પર ત્રણ મહિના પહેલા જ સીમાંકનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. રેલવે અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરીમાં ટી.પી. સ્કીમ બન્યા બાદ આ વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે રેલવે અને એએમસી બંને દ્વારા નિશાન લગાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે, જો વર્ષો જૂના મકાનો કપાતમાં જશે તો અમે ક્યાં જઈશું? રહીશોએ હવે માગ કરી છે કે, કાં તો કપાત ઓછી કરવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.
પૂર્વ કોર્પોરેટર મેદાને
આ મામલે પૂર્વ કોર્પોરેટરે પણ દરમિયાનગીરી કરી છે. તેમણે જણાવ્યું કે, વર્ષોથી રહેતા લોકોના ઘર બચાવવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. રોડની પહોળાઈમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે જેથી ઓછામાં ઓછી કપાત આવે અને સામાન્ય લોકોના ઘર બચી શકે. અત્યારે તો ચાંદલોડિયાના આર્યસમાજ રોડ પરના આ 1,000 મકાનોનો મુદ્દો આગામી ચૂંટણીમાં મોટો નિર્ણાયક પરિબળ સાબિત થાય તેમ લાગી રહ્યું છે.








