ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી, મોટો ખુલાસો કરવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ઢોંસાના ખીરાને મોતનું કારણ માનવામાં આવતું હતું, તે થીયરી તબીબી અભિપ્રાય બાદ નબળી પડતી દેખાઈ રહી છે. પોલીસે હવે આ ઘટનામાં અન્ય કોઈ વસ્તુની આડઅસર થઈ હોવાની શંકા સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા વિમલભાઈ પ્રજાપતિની બે પુત્રીઓ, મિષ્ટિ અને રાહાના તાજેતરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા હતા. પરિવારનો આક્ષેપ હતો કે, ઘનશ્યામ ડેરીમાંથી લાવેલા ખીરાના ઢોંસા ખાધા બાદ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
તબીબી અભિપ્રાયે ચોંકાવ્યા
પોલીસ તપાસમાં ઢોંસાના ખીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ વાંધાજનક તત્વો મળી આવ્યા નથી. વધુમાં, તબીબોના પ્રાથમિક રિપોર્ટ મુજબ બાળકીઓના મોત માટે માત્ર ઢોંસાનું ખીરું જવાબદાર હોવાની શક્યતા નહિવત છે. કોઈ અન્ય બાહ્ય વસ્તુ કે દવાની સાઈડ ઈફેક્ટ થઈ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન
પોલીસે ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી
તબીબોના રિપોર્ટ બાદ પોલીસે તપાસની દિશા બદલી છે. વિમલભાઈના ઘરે ઝીણવટભરી તપાસ કરી ઘરની અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બાળકીઓને આપવામાં આવતી નિયમિત કે અન્ય દવાઓ જપ્ત કરાઇ છે. જપ્ત કરવામાં આવેલી તમામ વસ્તુઓને હવે FSL માં મોકલવામાં આવશે જેથી મોતના સચોટ કારણનો ખુલાસો થઈ શકે.
મોટા ખુલાસાની તૈયારી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસ અત્યંત સંવેદનશીલ છે અને તપાસ દરમિયાન કેટલીક મહત્વની વિગતો હાથ લાગી છે. આગામી દિવસોમાં એફએસએલના રિપોર્ટ બાદ આ માસૂમ બાળકીઓના મોત પાછળનું સાચું કારણ જાહેર થશે, જે કદાચ ચોંકાવનારું હોઈ શકે છે.








