Bharuch News: ભરુચ જિલ્લા પંચાયતે ચાર કરોડ રૂપિયાનું આંધણ કરીને બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી એમને એમ પડી રહ્યા બાદ હવે તોડી પાડીને ત્યાં નવેસરથી બીજુ કોમ્પ્લેક્સ કમ રેસ્ટ હાઉસ બનાવવાનો તઘલખી નિર્ણય લીધો છે.
10 વર્ષ સુધી કોઈએ દુકાન લેવા માટે હરાજીમાં અરજી જ ના કરી
મળતી માહિતી અનુસાર, 40 વર્ષ પહેલા જિલ્લા પંચાયતે રેલવે સ્ટેશનની પાસે આવેલી પોતાની જગ્યામાં હરી રત્ન કોમ્પ્લેક્સ ઊભું કર્યું હતું અને તેમાં 45 જેટલી દુકાનો બનાવી હતી. એ પછી ત્રણ વખત ઓનલાઇન હરાજી કર્યાં બાદ પણ દુકાનોની ફાળવણી થઈ નહોતી. જિલ્લા પંચાયતે અણઘડ વહીવટનું પ્રદર્શન કરીને નવી નક્કોર દેખાતી આ તમામ દુકાનો તોડી પાડીને હવે અહીંયા નવેસરથી કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
ભરુચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયાનું કહેવું છે કે, '10 વર્ષ સુધી કોઈએ દુકાન લેવા માટે ઓનલાઇન અરજી કરી નહોતી.' જો કે, એ પછી એવો પણ સવાલ ઊભો થયો છે કે, નવેસરથી જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે તેમાં બનનારી દુકાનો હરાજીમાં લેવા માટે કોઈ આગળ આવશે ખરું? જિલ્લા પંચાયતે નવી નક્કોર દુકાનો તોડી પાડવાનો નિર્ણય લઈને પંચાયતને મોટો નાણાકીય ફટકો માર્યો છે.


