ધ્રોલ-લતિપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, આઈશરે ટક્કર મારતાં ત્રણના ઘટના સ્થળે મોત
એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં જામનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
Updated: Jan 24th, 2023
જામનગર, 24 જાન્યુઆરી 2023 મંગળવાર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કાર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધ્રોલમાં ગોકુલપર ગામ પાસે મોડી રાત્રે એક કાર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ધ્રોલમાં પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂકો વળી ગયો
મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો ભાઇ લાલજી 23 જાન્યુઆરીનાના રોજ રાત્રેના ટીમલી ગામે સંબંધીને ત્યાં યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ગયા હતા. એક દોઢ વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, તેઓના ભાઈની કારનો અકસ્માત થયો છે. જેને લઈને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધ્રોલથી લતીપુર તરફ જતા રસ્તા પર ગોકળપર ગામ નજીક આઇસર ટ્રકનો ચાલક પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો, જેણે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂકો વળી ગયો હતો.