રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત
Accident Incident Near Rajula : અમરેલીના રાજુલાના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના દાતરડી ગામ નજીક હાઈવે પર ઊભેલી બોલેરો સાથે બાઈક ધડાકાભેર અથડાતા બેના મોત નીપજ્યા હતા.
રાજુલા પાસે અકસ્માતમાં બેના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાથી રાજુલા તરફ જઈ રહેલા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. જેમાં દાતરડી ગામ પાસેના બ્રિજ નજીક રોડ પર ઊભેલી બોલેરો સાથે ચાલકનું બાઈક અથડાયું હતું. સમગ્ર ઘટનામાં પૂર ઝડપે આવતું બાઈકની બોલેરો સાથે ટક્કર વાગતા બાઈક પર સવાર બંને વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજુલા અને મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. મૃતકો છતડીયા ગામના ખીમાભાઈ મુળુભાઈ ક્વાડ (ઉં.વ. 65) અને રાજુલાના પિયુષભાઈ મનુભાઈ ક્વા (ઉં.વ. 23)નું મોત થતાં પરિવારમાં પરિવારોમાં શોક છવાયો છે.
સમગ્ર મામલે પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા બોલેરો ચાલકને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.